પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા યથાવત : ટીએમસી કાર્યકર શુભ્રાજીત દત્તની હત્યા
સ્થાનિક કાર્યકરોનો બિઝનેસમેન બાબુલાલ સાથે ઝઘડો થયો હતો.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભલે ભારે બહુમતીથી ફરી સીએમ બન્યા હોય પણ ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસાને રોકવામાં તેઓ નિષ્ફળ ગયા છે.જેના પગલે હજી પણ રાજ્યમાં રાજકીય હિંસામાં લોકોનુ લોહી રેડાઈ રહ્યુ છે. શહીદ દિવસની ઉજવણી વચ્ચે ઉત્તરી પરગણા જિલ્લામાં એક ટીએમસી કાર્યકરની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. 39 વર્ષીય કાર્યરની ઓળખ શુભ્રાજીત દત્ત તરીકે થઈ છે. દરમિયાન હ્ત્યામાં સ્થાનિક બિઝનેસમેન બાબૂલાલનુ નામ આવી રહ્યુ છે.
બુધવારે રાતે આ કાર્યકર પાર્ટી કાર્યાલય પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે બે બાઈક પર આવેલા યુવકોએ પાછળથી તેના પર અંધાધૂધ ફાયરિંગ કર્યુ હતુ. જેના પગલે શુબ્રાજીતનુ સ્થળ પર જ મોત થયુ હતુ. લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે ડોકટરોએ તેને મરેલો જાહેર કર્યો હતો.
મળતી વિગતો પ્રમાણે સ્થાનિક કાર્યકરોનો બિઝનેસમેન બાબુલાલ સાથે ઝઘડો થયો હતો. જેમાં તેને ઈજા થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ટીએમસી દ્વારા હત્યામાં તેનો હાથ હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.