મુખ્ય સમાચાર
News of Thursday, 22nd July 2021

સરકારી તફડંચીનો ભોગ બની રહેલા વેપારીઓ

GST.. ભૂલથી લેવાયેલી ક્રેડિટ પરત કરવા છતાં વ્યાજ ભરવાની નોટીસ

વેપારીની ક્રેડિટ સરકાર પાસે લેજરમાં જમા હોવા છતાં વ્યાજ વસૂલાત કરવાની નોટીસથી કચવાટ

મુંબઇ,તા. ૨૨: જીએસટીમાં વેપારીએ ભૂલથી વધારાની ક્રેડિટ લીધા બાદ તેમાં સુધારો કરીને જાતે જ ક્રેડિટ રિવર્સ કરવા છતાં જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓમાં કચવાટ પેદા થયો છે. કારણ કે વેપારીને નોટિસમાં  વધારાની ક્રેડિટના વ્યાજ ભરપાઇ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવી નોટિસ છેલ્લા થોડા સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા સૌથી વધુ વેપારીઓને આપવામાં આવી રહી છે.

સેન્ટ્રલ જીએસટી દ્વારા વેપારીઓને થોડા સમયથી ક્રેડિટ મુદ્દે અપાતી નોટિસથી કચવાટ પેદા થયો છે. કારણ કે વેપારીના ખાતામાં નાણાં જમા હોવા છતાં નિયમ પ્રમાણે જે ક્રેડિટ લેવાની હોય તેના કરતાં વધારાની ક્રેડિટ વાપરી નાંખી હતી. જયારે તેઓએ વધારાની ક્રેડિટ વાપરી હોવાનો ખ્યાલ આવતા વેપારી દ્વારા સામે ચાલીને ક્રેડિટ રિવર્સ કરી દીધી હતી. તેમજ વેપારીના ખાતામાં તેના કરતાં પણ વધુ ક્રેડિટ હાલમાં પણ સરકારમાં જમા હોવા છતાં આવા વેપારીઓને નોટિસ આપવામાં આવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. તે માટેનું કારણ એવું પણ છે કે સરકાર પાસે વેપારીએ વાપરેલી ક્રેડિટ કરતાં પણ વધુ નાણાં હાલમાં પણ જમા છે તેમજ તે પેટે એક પણ રૂપિયાનું વ્યાજ વેપારીઓને ચૂકવવામાં આવતું નથી. જયારે ભૂલથી વધારાની ક્રેડિટ લીધી અને તેની જાણ થયા બાદ તેને પરત કર્યા બાદ વ્યાજ વસૂલાતની નોટિસ આપવામાં આવી રહી છે.

વેપારીઓના ખાતામાં કેડિટ જમા હોવા છતાં વધારાની વાપરેલી ક્રેડિટ મુદ્દે વ્યાજ વસુલાતની નોટિસ આપવાના મુદ્દે મદ્રાસ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં મદ્રાસ હાઇકોર્ટે પણ વેપારીની તરફેણમાં સુકાદો આપ્યો હતો, તેમજ વિભાગ દ્વારા મોકલવામાં આવતી નોટિસ યોગ્ય નહીં હોવાનું પણ જણાવ્યું હતું. જેથી આજ પ્રકારની નોટિસ સેન્ટ્રલ જીએસટીએ સુરતના વેપારીઓને આપવાની શરૂઆત કરતા આગામી દિવસોમાં તેમાં પણ કોર્ટ કાર્યવાહી થવાની શકયતા નકારી શકાય તેમ નથી.

જીએસટીમાં વેપારીને લેવાની થતી કેડિટ કરતાં વધુ કેડિટ લીધી હોય તો નોટિસ આપવામાં આવે છે. પરંતુ ભૂલથી લીધેલી ક્રેડિટ પસ્ત કર્યાં બાદ પણ નોટિસ આપવાના મુદ્દે યોગ્ય પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટતા કરવી જોઇએ. કારણ કે વિભાગ દ્વારા પણ નિયમ પ્રમાણે કાર્યવાહી કરે છે, પરંતુ કોર્ટમાં કે ટ્રિબ્યુનલમાં તેને પડકારવામાં આવે તો વેપારીની તરફેણમાં જ ચુકાદા આવતા હોય છે, જેથી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આવી કામગીરીમાં ખોટો સમય વેડફે છે અને તેના લીધે વેપારીઓ ખોટા પરેશાન થાય છે. જેથી આ સમસ્યાનું સમાધાન થાય તે ખૂબ જ જરૂરી છે. - મિહીર મોદી, સીએ

(10:28 am IST)