મુખ્ય સમાચાર
News of Monday, 22nd July 2019

મોટી રકમ જમા કરાવવા હવે 'પાન'થી નહિ ચાલેઃ આધારનું E-KYC જરૂરી બનશે

મોટી સંખ્યામાં બેન્કોમાં મોટી રકમ જમા કરાવનારા લોકો નકલી પાન નંબર આપે છે, આનાથી મોટી લેવડદેવડની ભાળ મળવાનું મુશ્કેલ બની જાય છેઃ હવે આ નવા પ્રયોગથી છેતરપીંડી અટકશેઃ બાયોમેટ્રીક ટુલ કે ઓટીપીથી આધારનું પણ કેવાયસી કરાવવુ પડશેઃ પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન વખતે પણ આધારના પ્રમાણીકરણની જરૂર પડશેઃ સરકાર રકમની સીમા પણ નક્કી કરવા જઈ રહી છે

નવી દિલ્હી, તા. ૨૨ :. જો તમે બેન્કમાં મોટી રકમ જમા કરાવતા હો તો હવે માત્ર પાનકાર્ડથી કામ નહિ ચાલે. સરકાર તરફથી નક્કી કરેલી સીમાથી વધુ રકમ જમા કરાવવાની સ્થિતિમાં તમારે પાન કાર્ડની સાથે આધાર કાર્ડ થકી ઈ-કેવાયસી કે ઓટીપીની પણ જરૂર પડશે. સરકાર તરફથી આ પગલુ કાળા નાણા પર અંકુશ મેળવવા માટે ઉઠાવવામાં આવ્યુ છે.

અર્થવ્યવસ્થામાં મોટાપાયે રોકડના પ્રવાહને જોતા સરકાર આધાર પ્રમાણીકરણને ફરજીયાત કરવા જઈ રહી છે. મળતા અહેવાલ અનુસાર આ મતલબનો ફેરફાર નાણાકીય બીલમાં પ્રસ્તાવિત સંશોધન થકી કરવામાં આવશે. જેમાં નિર્ધારીત સમયથી વધુ ફોરેન એક્ષચેન્જ સહિત હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશન સામેલ કરવામાં આવશે.

અત્યાર સુધી આ પ્રકારની લેવડદેવડમાં માત્ર પાન કાર્ડ જ અનિવાર્ય હતું. આ પ્રકારે નિર્ધારીત મૂલ્યથી વધુની સંપતિની ખરીદી કે વેચાણ સાથે જોડાયેલ લેવડદેવડમાં પણ માત્ર આધાર કે પાન કામ નહિ ચાલે. સંપત્તિના રજીસ્ટ્રેશન દરમિયાન તમારી લેવડદેવડ વખતે આધાર પ્રમાણીકરણની જરૂર પડી શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમે આ પ્રકારની એક સીમા નક્કી કરવા ઉપર કામ કરી રહ્યા છીએ. જેમાં માત્ર એક સીમાથી વધુની લેવડદેવડ કરનારાઓને પકડી શકાય. હાલ આ સીમા નક્કી કરવાની બાકી છે. આશા છે કે ૨૦થી ૨૫ લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવવા કે ઉપાડવા પર આધાર પ્રમાણીકરણ કે ઓટીપીની જરૂર પડી શકે છે.

સીબીડીટીના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૦૦ કરોડથી વધુની રોકડ ઉપાડ કરનારા લોકો/ કંપનીની સંખ્યા ૪૫૦થી વધુ રહી હતી તો ૧૦ થી ૧૦૦ કરોડ વચ્ચે ૭૦૦૦ પાન કાર્ડનું વિવરણ અપાયુ હતું. આ સીમામાં ૧.૫ લાખ કરોડ રૂપિયાની રોકડ ઉપાડ થઈ હતી.

સૂત્રોનું કહેવુ છે કે આ પગલુ એટલા માટે ઉઠાવવામાં આવ્યુ છે કે ભારી માત્રામાં રોકડ જમા કરાવનાર કે ઉપાડનાર ખોટા પાન કાર્ડ આપે છે. તે પછી એ લેવડદેવડને પકડવાનું મુશ્કેલ બની જાય છે. આધાર પ્રમાણીકરણ અનિવાર્ય કરવા થકી સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે નકલી પાન કાર્ડનો ઉપયોગ થઈ ન શકે.

જો કે આ સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી પરંતુ આનાથી છેતરપીંડી ઘટે તેવુ લાગે છે. મોટી માત્રામાં રોકડનો પ્રયોગ અર્થવ્યવસ્થામાં બ્લેક મનીનો મોટો સ્ત્રોત છે. પાછલા અનેક વર્ષોથી સરકાર મોંઘા ઘરેણા, વોચ અને સંપત્તિના હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશન ઉપર નજર રાખી રહી છે.

સરકારના આ નવા પ્રયોગ હેઠળ તમારે બાયમેટ્રીક ટુલ કે વન ટાઈમ પાસવર્ડનો ઉપયોગ કરી કેવાયસી કરી શકો છો.

(10:28 am IST)