મુખ્ય સમાચાર
News of Sunday, 22nd July 2018

ખોટા નિવેદનો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે : રાહુલ ગાંધી

પાર્ટીના વોટ નેટવર્કને વધારવાની જરૂર : રાહુલ : જે મતદારો પાર્ટીને મત આપી રહ્યા નથી તેમનો વિશ્વાસ જીતવાની જરૂર છે : મોટી લડાઈ લડી રહ્યા છે : રાહુલ

નવીદિલ્હી, તા. ૨૨ : રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ કારોબારી કમિટિની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવેલા ૩૫ સભ્યોએ પોતાની રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટીના વોટના નેટવર્કને વધારવાની બાબત સૌથી પડકારરુપ છે. બીજી બાજુ બિનજવાબદારીવાળા નિવેદનને લઇને પણ નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તેઓ મોટી લડાઈ લડી રહ્યા છે જેથી ખોટા નિવેદન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. રાહુલે કહ્યું હતું કે, તમામને પાર્ટી ફોરમમાં બોલવા માટેના અધિકાર છે પરંતુ પાર્ટીના કોઇ નેતા ખોટુ નિવેદન કરશે તો તેઓ કાર્યવાહી કરશે. એમ માનવામાં આવે છે કે, રાહુલ ગાંધી પાર્ટીના નેતા શશી થરુર દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઇને નાખુશ છે. શશી થરુરે હાલમાં જ કહ્યું હતું કે, ભાજપ ૨૦૧૯માં જીતશે તો ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે તમામ લોકોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને એક સુરમાં આગળ વધારવાની વાત કરી હતી. પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. પોતાના ભાષણ દરમિયાન રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ કારોબારી સમિતિ સ્વતંત્રતા સંગ્રામના ગાળાથી કામ કરી રહી છે. આ એક ફોરમ છે જ્યાં ચર્ચા યોજાઈ છે. દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં ભૂમિકા ભજવી છે. કોંગ્રેસ કારોબારી સમિતિ દ્વારા દરેક ભારતીયને અવાજ આપ્યો છે. તેઓએ દરેક ક્ષેત્રના પ્રતિનિધિત્વ કરનાર લોકોને અને સૌથી નબળા વર્ગના લોકોને તક આપી છે. પહેલો પડકાર કોંગ્રેસ કારોબારી સામે સ્થિતિ સુધારવાનો રહેલો છે. કોંગ્રેસ કારોબારીમાં યુવાનો અને અનુભવીને સંતુલિત રાખવામાં આવ્યા છે. સીડબલ્યુસીની ચૂંટણીના સમયે તેમના દિમાગમાં જે વિચારધારા હતી તે એ હતી કે, તેમાં સામેલ થનાર તમામ લોકો એવા હોવા જોઇએ તે તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે. પાર્ટીના વોટ નેટવર્કને વધારવાની બાબત સૌથી મોટા પડકાર તરીકે છે. દરેક ક્ષેત્રમાં અમને એવા લોકો સુધી પહોંચવાની જરૂર છે જે લોકો અમને વોટ આપી રહ્યા નથી. તેમનો વિશ્વાસ જીતવાની જરૂર છે. કોંગ્રેસ કાશ્મીરથી કન્યાકુમારી સુધી એકલા સંગઠન તરીકે છે જે ચૂંટણી માટે સક્ષમ છે.

(8:05 pm IST)