મુખ્ય સમાચાર
News of Friday, 22nd June 2018

કાશ્મીરને આઝાદી… મુશર્રફનું થુંકેલુ ચાટનાર કોંગ્રેસી નેતા ઉપર ધોવાયા માછલા

પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદ્દીન સોઝના નિવેદનથી જમ્મુ - કાશ્મીર જ નહિ પણ સમગ્ર દેશમાં હોબાળો : મુશર્રફનું સમર્થન કરનાર આ નેતા ઉપર ભાજપ - શિવસેનાના તીખા પ્રહારો : પાકિસ્તાન જઇ તેમના નોકર બની જવા સલાહ

નવી દિલ્હી તા. ૨૨ : જમ્મુ-કાશ્મીરમાં સર્જાયેલી રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા સૈફુદ્દીન સોઝે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સોઝે કહ્યું હતું કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે, જો કાશ્મીરીઓને તક મળે તો કોઈની પણ સાથે જવાના બદલે આઝાદ થવાનું પસંદ કરશે.

સોઝે કહ્યું હતું કે મુશર્રફે એક દાયકા પહેલા કરેલું નિવેદન આજ પણ અનેક રીતે સાચું ઠરે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, આઝાદી મળવી મુશ્કેલ છે. મારા નિવેદનને પાર્ટી સાથે કોઈ જ લેવાદેવા નથી.

એક જાણીતી સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં યૂપીએ સરકારમાં મંત્રી ર અહી ચુકેલા સોઝે પોતાના આવનારા પુસ્તકમાં એ વાત પર ભાર આપ્યો છે કે, કેન્દ્ર સરકારે હુર્રિયત નેતાઓ સાથે ખુલીને વાત કરવી જોઈએ.

સૈફુદ્દીન સોઝે કહ્યું હતું કે, ૧૯૫૩થી લઈને આજ સુધી જેટલી પણ સરકારો રહી તેમણે કાશ્મીર મુદ્દે કોઈને કોઈ ભૂલ કરી જ છે, તે પછી નેહરૂ અને ઈંદિરા ગાંધીની જ સરકાર કેમ ના હોય. સૈફુદ્દીન સોઝ કાશ્મીદ્ર મુદ્દે એક પુસ્તક લખી રહ્યાં છે, જેનું નામ છે Kashmir: Glimpses of History and the Story of Struggle. આ પુસ્તક આવતા મહિને રિલીઝ થશે.

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, જો કેન્દ્ર કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માંગતુ હોય તો તેને કાશ્મીરીઓ પ્રત્યે એક એવું વાતાવરણ તૈયાર કરવું પડશે જેનાથી તેમને અહેસાસ થાય અને તેઓ વાતચીત કરવા તૈયાર થાય. વાત કરવા માટે હુર્રિયત ગ્રુપ સાથે સૌથી પહેલા વાત કરવામાં આવે અને ત્યાર બાદ અન્ય મુખ્ય પાર્ટીઓ સાથે વાતચીત થાય.

કાશ્મીર મુદ્દે મુશર્રફ-વાજપેયી-મનમોહનના ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે સંબંધો વધવા જોઈએ. અવર-જવર વધવી જોઈએ જયારે બંને દેશોના લોકો એકબીજાની નજીક આવશે તો જ વાતચીત શકય બનશે. આઝાદ થવાનું પસંદ કર્શે. તેમણે જણાવ્યું હતું કે, પરવેઝ મુશર્રફે ઘણી હદે પોતાના દેશમાં આ પ્રકારનું વાતાવરણ તૈયાર કરી લીધું હતું કે આ એક જ રસ્તો છે જેના દ્વારા શાંતિ સ્થાપિત કરી શકાય.

સૈફુદ્દીન સોઝે પરવેઝ મુશર્રફનો ઉલ્લેખ કરી વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, જો કાશ્મીરીઓને તક મળે તો કોઈની પણ સાથે જવાના બદલે આઝાદ થવાનું પસંદ કરશે. જોકે સોઝે આ નિવેદન માટે કોંગ્રેસ પાર્ટીને કોઈ જ લેવાદેવા ના હોવાનું અગાઉથી જ કહી દીધું હતું.

સોઝના આ નિવેદન બાદ તેનો ભારે વિરોધ શરૂ થઇ ગયો છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોઝમા નિવેદન પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું જ્યારે સોઝ કેન્દ્રમાં મંત્રી હતા અને જેકેએલએફએ સોઝની પુત્રીનું અપહરણ કર્યું હતું ત્યારે તેને કેન્દ્રની મદદ મળી હતી. એવા લોકોની મદદ કરવાનો કોઇ ફાયદો નથી જે પણ ભારત રહેવા માંગે છે કે તે ત્યાંના સંવિધાનને માનીને ત્યાં રહી શકે છે જો કોઇ પરવેઝ મુશર્રફને પસંદ કરે છે તો તેને એક ટિકિટ પાકિસ્તાન જવાની આપવામાં આવે. (૨૧.૨૫)

(3:42 pm IST)