આઝમ ખાન વિવાદ સર્જે છે...
જો હું રામપુર સીટ ૩ લાખ વોટથી ન જીત્યો તો સમજી લો હિન્દુસ્તાનમાં બેઇમાની થઇ
લખનઉ તા. ૨૨ : લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એકિઝટ પોલ પર ચર્ચાઓ થઈ રહી છે. જયાં ભાજપ સહિત એનડીએના પક્ષો તેને પોતાની જીત ગણાવી રહ્યાં છે ત્યાં આઝમ ખાને એકિઝટ પોલને સટ્ટોડિયાઓનો ફાયદો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ એ સટ્ટાબજારીઓના ફાયદા માટે છે જેમણે સટ્ટામાં લાખો રૂપિયા લગાવ્યાં છે. રામપુરની સીટ માટે તેમણે કહ્યું કે જો રામપુરની સીટ પર મારી જીત ૩ લાખથી ઓછા મતોથી થાય તો તેનો અર્થ એ થયો કે આખા હિન્દુસ્તાનમાં બેઈમાની થઈ છે.
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ઈવીએમની અફવાઓ બાદ આઝમ ખાનનું ઈવીએમ અંગે મોટું નિવેદન આવ્યું છે. આઝમ ખાને કહ્યું કે રામપુરમાં પણ સંદિગ્ધ ગાડીઓ મતગણતરી સ્થળ પર જોવા મળી છે. એક જગ્યાએ ગાડી પર નકલી નંબર પ્લેટ પણ જોવા મળી. નકલી નંબર પ્લેટ્સ લગાવીને ઈવીએમને ટ્રાન્સફર મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને એક સમયે તેમની પાર્ટીમાં રહી ચૂકેલા જયા પ્રદા વચ્ચે થયેલા શાબ્દિક યુદ્ઘે તમામ ગરીમાઓ ખતમ કરી નાખી. જયા પ્રદા હાલમાં જ ભાજપમાં સામેલ થયાં અને તેમણે રામપુરમાં આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી. આઝમ ખાને એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે 'હું તેમને (જયા પ્રદા) રામપુર લાવ્યો. તેમનો અસલ ચહેરો ઓળખવામાં ૧૭ વર્ષ લાગ્યાં, પરંતુ હું તેમને ૧૭ દિવસોમાં ઓળખી ગયો હતો.'
આ નિવેદન બદલ ખાને પર ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ મામલો અહીં જ પૂરો ન થયો. એક જનસભા ખાનના પુત્ર અબ્દુલલ્લા આઝમે જયા પ્રદા પર અનારકલી ટિપ્પણી પણ કરી. તેમણે કહ્યું કે અલી પણ અમારા, બજરંગ બલી પણ અમારા પરંતુ અનારકલી ન જોઈએ. જયા પ્રદાએ પણ ખાનની 'એકસ રે આંખો' અંગે ટિપ્પણી કરીને વિવાદ ઊભો કરી દીધો હતો.