પ્લીઝ ૨ વર્ષ વધુ આપોઃ મારી પાસે લખનૌમાં ઘર નથી !
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની કાકલૂદીઃ ૧૫ દિ'માં બંગલો ખાલી કરવાનો છેઃ માથે જાતા ૨૦૧૯ની ચૂંટણી આવે છે...: ઝેડ પ્લસ સુરક્ષા કર્મીઓના ઢગલાને કયાં રાખવો ? ઉપરાંત રોજ મુલાકાતીઓ ઉમટી પડે છે... યોગી સરકારનું ભેદી મૌનઃ જવાબ આપ્યો જ નથી !
લખનૌ, તા. ૨૨ :. ઉ.પ્ર.ના માજી મુખ્યમંત્રી અને સ.પા.ના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે સરકારી બંગલો ખાલી કરવા યોગી આદિત્યનાથની ભાજપ સરકાર પાસે બે વર્ષનો સમય માંગ્યો છે.
ઝેડ પ્લસ સુરક્ષા અને મળવા આવનારાઓની સંખ્યાનું કારણ બતાવી વિક્રમાદિત્ય માર્ગ પર આવેલ બંગલામાં વધારે બે વર્ષ રહેવાની પરવાનગી માંગી છે.
અખિલેશને માજી મુખ્યમંત્રી તરીકે ૪-વિક્રમાદિત્ય રોડનું ભવ્ય ઘર અપાયુ છે પણ ખાલી કરવા માટેની નોટીસ ૧૮ મે એ આપી દીધેલ છે.
અખિલેશ યાદવના અંગત સચિવ સોમવારે રાજ્ય મકાન વિભાગના અધિકારીને તેમને પત્ર આપ્યો છે. જેમાં કહેવાયુ છે કે, લખનૌમાં તેમની પાસે રહેવા યોગ્ય મકાન નથી. માજી મુખ્યમંત્રી હોવાથી તેમને સરકાર તરફથી એનએસજી કમાન્ડો સહીત ઝેડ પ્લસ સુરક્ષા મળેલ છે. સુરક્ષા કવચને કારણે મારે યોગ્ય મકાનની જરૂર છે.
ઉપરાંત હાલમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી મને મળવા ઘણા લોકો આવે છે. બીજા કોઈ આવાસમાં પુરતા સુરક્ષા બંદોબસ્ત સિવાય રહેવું યોગ્ય નથી.
આ પત્ર પર મકાન વિભાગે હાલ તો કોઈ પ્રતિક્રિયા નથી આપી. સૂત્રો પ્રમાણે અખિલેશ વર્તમાન મકાનનું બજાર ભાવ પ્રમાણે બે વર્ષ માટે ભાડ આપવા તૈયાર છે. જો કે તેનો પત્રમાં ઉલ્લેખ નથી.
અહીં રહેવાનું મુખ્ય કારણ સપાની ઓફિસ અને જનેશ્વર મિત્ર ટ્રસ્ટ બન્ને નજીક છે. અખિલેશ બન્ને જગ્યાએ બેસે છે અને તે બે મીનીટના રસ્તે છે. તેથી લોકસભા ચૂંટણી સુધી તે ખાલી નથી કરવા માંગતા.
સુપ્રીમના આદેશ મુજબ ૧૫ દિવસમાં લખનૌનો બંગલો ખાલી કરવાનો છે. દરમિયાન તાજેતરમાં જ અખિલેશના પિતા મુલાયમસિંહ યાદવ યોગી આદિત્યનાથને મળ્યા હતા અને સત્તાવાર બંગલા ખાલી કરવા પડે તેની ફોર્મ્યુલા આપી હતી પણ ભાજપે વ્યવસ્થિત ચાલ ખેલી પત્ર લીક કરી નખાતા મુલાયમની ભારે બેઈજ્જતી થઈ હતી.(૨-૨)