પાકિસ્તાનનો આખી રાત મોર્ટારમારોઃ આઠ મહિનાના બાળકનું મોત
પોલીસ અધિકારી સહિત છ ઘાયલ : મુફતીએ ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી : ભારતનો જડબાતોડ પ્રતિકાર
શ્રીનગર તા. ૨૨ : રમજાન મહિનામાં પણ પાકિસ્તાને વિકૃતિ ચાલુ રાખી છે. કાશ્મીર સરહદે આખી રાત મોર્ટાર મારો કર્યો હતો, જેમાં આઠ મહિનાના બાળકનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારી સહિત છ લોકો ઘાયલ થયા છે.
જોકે ભારતીય સૈન્ય પણ જડબાતોડ જવાબ આપે છે. કાશ્મીરના મુખ્યમંત્રીએ પાકિસ્તાની વૃત્તિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
રમઝાન મહિનામાં પાકિસ્તાન પોતાની અવળચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન બોર્ડર પર સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રવિવારે ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે.
બોર્ડર પર અરનિયા તેમજ આર.એસ. પુરા સેકટરમાં મોર્ટાર છોડી રહ્યું છે. પાકિસ્તાનની આ ફાયરિંગમાં આજે ૪ લોકો ઘાયલ થયા છે. તો આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, રવિવારે ભારત દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પાકિસ્તાનના બંકરને નષ્ટ કરવામાં આવ્યા હતા. તે સમયે પાકિસ્તાન ફાયરિંગ બંદ કરવા માટે આજીજી કરી રહ્યું હતું. જે બાદ તેના તરફથી સતત ફાયરિંગ ચાલુ જ છે.(૨૧.૧૧)