મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

ઓરિસ્સાની પુરી બેઠક પરથી ત્રણ પાર્ટીઓના પ્રવકતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઇ જામશે

કોંગ્રેસ અને બીજદના પ્રવકતાઓ વચ્ચે એક રસપ્રદ ચૂંટણી લડાઇ જોવા મળશે

પુરી,તા.૨૨: ઓરિસ્સાની પુરી લોકસભા સંસદીય ક્ષેત્રમાં આ વખતે ત્રણ પક્ષો ભાજપ કોંગ્રેસ અને બીજદના પ્રવકતાઓ વચ્ચે એક રસપ્રદ ચુંટણી લડાઇ જોવા મળશે.તીર્થનગરી પુરીથી એક તરફ જયાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સંબિત પાત્રા મેદાનમાં છે તો વર્તમાન સાંસદ અને બીજદના ઉમેદવાર પિનાકી મિશ્રા ઉપરાંત કોંગ્રેસના સત્યપ્રકાશ નાયક પણ અખાડામાં ઉતરી ગયા છે. આ ત્રણેય ઉમેદવારો પોત પોતાની પાર્ટીના પ્રવકતા છે.

પહેલા પુરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુંટણી લડવાની ચર્ચા હતાં પરંતુ સંબિત પાત્રાને ટિકિટ મળ્યા બાદ તમામ ચર્ચાઓને વિરામ લાગી ગયો જયારે કોંગ્રેસે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને પાર્ટીના અધ્યક્ષ બ્રજ મોહન મોહંતીની પુત્રી સુચરિતા મોહંતીને આ વખતે ટીકીટ આપી નથી પરંતુ તેમની જગ્યાએ પત્રકારથી રાજનેતા બનેલ સત્યપ્રકાશ પર દાવ ખેલ્યો છે જયારે  બીજદે પોતાના વર્તમાન સાંસદ પિનાકી મિશ્ર પર જ વિશ્વાસ વ્યકત કર્યો છે.

પુરીને પારંપારિક રીતે રાજયની સત્તારૂઢ પાર્ટી બીજદનો ગઢ માનવામાં આવે છે.ગત અઢી દાયકાથી સતત પુરીની બેઠક પર બીજદનો કબજો રહ્યો છે જો કે ૨૦૧૯માં ઓરિસ્સામાં ભાજપની સક્રિયતાથી અહીંથી નવા સમીકરણ જોવા મળી રહ્યાં છે ભાજપે ૨૦૧૭માં થયેલ સ્થાનિક ચુંટણીઓમાં ઓરિસ્સામાં સારૂ પ્રદર્શન કર્યું હતું.

પુરી લોકસભા બેઠકમાં ૯૬ ટકા હિન્દુ વસ્તી છે આ સાથે જ ભાજપના સંબિત પાત્રા ઓરિસ્સા રાજયથી જ આવે છે બેઠકના જાતીય સમીકરણ પણ પાત્રાના પક્ષમાં જોવા મળી રહ્યાં છે તે ખુદ બ્રાહ્મણ છે આ સાથે જ પુરી બ્રાહ્મણ બહુમતિવાળો વિસ્તાર છે આથી ભાજપે પાત્રા પર  દાવ ખેલ્યો છે.

પુરીમાં ૧૨મી શતાબ્દીનું જગન્નાથ મંદિર છે આ ચાર ઘામોમાંથી એક છે. પુરી બેઠકથી સતત પાંચ વાર  બીજદને જીત મળી રહી છે ૧૯૯૮માં બીજદના બ્રજ કિશોર ત્રિપાઠીને અહીંથી જીત મળી હતી.ત્યારબાદ તે સતત ત્રણ વાર ચુંટણી જીત્યા  છે. જયારે ૨૦૯ અને ૨૦૧૪માં બીજદમાંથી પિનાકી મિશ્ર સાંસદ  ચુંટાઇ આવ્યા છે.અત્યાર સુધી કુલ  ૧૬ લોકસભા  ચુંટણીઓમાંથી  કોંગ્રેસ છ ,બીજદ પાંચ,જનતાદળ બે અને જનતા પાર્ટી સંયુકત  સોશલિસ્ટ પાર્ટી તથા સીપીઆઇ  એક એક એક વાર આ બેઠક પરથી  જીત હાંસલ કરી ચુકયા છે.પુરીમાં ત્રીજા તબક્કામાં આવતીકાલે મતદાન થનાર છે.

(4:02 pm IST)