મુખ્ય સમાચાર
News of Monday, 22nd April 2019

લોકસભા ચૂંટણી બાદ ભાજપ ફરી સત્તામાં આવશે તો કોંગ્રેસ જવાબદાર :મનીષ સિસોદિયાનો મોટો આરોપ

પંજાબ-હરિયાણામાં ઇન્કાર બાદ દિલ્હીમાં પણ ગઠબંધનની શકયતા નહિવત થતા આપ ખફા

નવી દિલ્હી :આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ હરિયાણામાં પણ ગઠબંધન માટે કોંગ્રેસ માટે કોંગ્રેસના ઇનકાર બાદ માત્ર દિલ્હીની સંભાવના નકારતા કહ્યું છે કે, જો ચૂંટણી બાદ ભાજપ ફરી સત્તામાં આવશે તો તે માટે કોંગ્રેસ જવાબદાર હશે.

  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, કોંગ્રેસે કાલે રાત્રે હરિયાણામાં પણ આપ સાથે ગઠબંધનનો ઇનકાર કરી દીધો છે, તેવામાં અમે માત્ર દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર નથી.

   સિસોદિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ મોદી-શાહની જોડીને ફરીથી સત્તામાં આવતા રોકવા માટે ગઠબંધનની પહેલ કરી હતી, પરંતુ કોંગ્રેસ સીટોના ગણિતમાં લાગેલી છે. તેનો હેતુ મોદી-શાહની જોડીના ખતરાથી દેશને બચાવવાનો નથી. અમારી તરફથી શક્ય તમામ પ્રયાસો કરી લેવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પર છે કે તે શું કરે છે, મને નથી લાગતું કે કોંગ્રેસ ભાજપને રોકવા માટે સંવેદનશીલ હોય.

(11:27 am IST)