સરહદે હિંસાની હોળી : એક જવાન શહિદ
પાકિસ્તાને યુધ્ધવિરામનો ભંગ કરી ભારે ગોળીબાર કર્યો
જમ્મુ તા. ૨૨ : અખનૂરમાં સરહદ પાસેના કેરી બેલ્ટ વિસ્તારમાં ગુરુવારે પાકિસ્તાને યુદ્ઘવિરામનો ભંગ કરી ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતીય જવાન શહીદ થયો હતો. રાઈફલમેન કરમજિતસિંહ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયો હતો અને તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
ગુરૂવારે સવારે ૭.૩૦ કલાકે પાકિસ્તાને ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાની સૈનિકોએ કેરી બેલ્ટ વિસ્તારમાં ભારતીય થાણાને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જાન્યુઆરી પછી પાકિસ્તાની સેનાએ એલઓસી પર ૧૧૦થી વધુ વાર યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું છે. વર્ષ ૨૦૧૮માં પાકિસ્તાની સેનાએ ૨૯૩૬ વાર યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જે છેલ્લાં ૧૫ વર્ષનો સૌથી વધુ આંકડો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ ૨૦૦૩માં યુદ્ઘવિરામ સમજૂતી થઈ હતી. બંને દેશ વચ્ચેની યુદ્ઘવિરામ સમજૂતીનું પાલન કરવા બાબતમાં ફલેગ મીટિંગમાં વારંવાર ચર્ચા થઈ હતી, છતાં પાકિસ્તાન ઉલ્લંઘન કરતું રહ્યું છે.