માતા વૈષ્ણોદેવીમાં પ્રસાદ સેવાની વિધિવત શરૂઆત
હલવાની સાથે સાથે ચા અને ચણા અપાશે : વૈષ્ણોદેવી મંદિરની જુની અને કુદરતી ગુફાને ખોલી દેવાઈ
નવી દિલ્હી, તા. ૨૨ : માતા વૈષ્ણોદેવી મંદિરને લઇને શ્રદ્ધાળુઓના મનમાં હંમેશા અલગ જ આસ્થા રહે છે. મંદિર સુધીની યાત્રાને દેશના સૌથી પવિત્ર અને મુશ્કેલ તીર્થ યાત્રા પૈકી એક તરીકે ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં લઇને માતા વૈષ્ણોદેવી શ્રાયન બોર્ડે ભવન તરફ જવાના પરંપરાગત રસ્તામાં નવી સુવિધા શરૂ કરી છે. ફ્રીમાં પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. આ પ્રસાદ સેવા હેઠળ શ્રદ્ધાળુઓને પ્રસાદ તરીકે હલવા, ચણા, ચા આપવામાં આવશે. જમ્મુ કાશ્મીરના આવાસી જિલ્લામાં સ્થિત આ તીર્થમાં સેવાની શુભ કામગીરી બોર્ડના સીઈઓ રમેશકુમાર દ્વારા કરવામાં આવી હતી. તીર્થ યાત્રીઓ માટે આ સેવા સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, તીર્થયાત્રીઓને પ્રસાદ સેવા ભવનમાં હલવાની સાથે સાથે ચણા અને ચા આપવામાં આવશે. તીર્થ યાત્રીઓ માટે વેઇટિંગ રુમ પણ બનાવવામાં આવ્યા છે.
વરસાદની સિઝનમાં કોઇ તકલીફ ન પડે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાયન બોર્ડ દ્વારા કેટલીક નવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. ત્રિકુટા પહાડીઓ પર સ્થિત વૈષ્ણોદેવી મંદિરની જુની અને કુદરતી ગુફા શ્રદ્ધાળુઓના દર્શન માટે ગયા મહિને ખોલી દેવામાં આવી હતી. આ જુની ગુફા માત્ર જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ગાળા દરમિયાન ખોલવામાં આવે છે જ્યારે ભીડ ખુબ ઓછી હોય છે. બાકીના મહિનામાં તીર્થયાત્રીઓને ગર્ભ ગૃહ જવા માટે નવી ગુફામાંથી થઇને જવું પડે છે. દર વર્ષે મકરસંક્રાતિ બાદ શ્રદ્ધાળુ માટે કુદરતી ગુફા ખોલી દેવામાં આવે છે. માતા વૈષ્ણોદેવીમાં પ્રસાદ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ શ્રદ્ધાળુઓને આંશિક રાહત મળશે. સાથે સાથે આરામ પણ મળશે.