મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

NPR અને NRC મુદ્દે શિવસેનાએ મોદી સરકારને ટેકો આપતા કોંગ્રેસ કાળઝાળ

એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહી

નવી દિલ્હી, તા.૨૨: નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર પર શિવસેનાની ભૂમિકાને લઈને કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ આ અંગે એક ટ્વીટ કરી જેમાં તેમણે લખ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નાગરિકતા સંશોધન કાયદા, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ વચ્ચે જે કડીઓ છે, તેઓ સમજાવે કે કઈ રીતે એનપીઆર અને એનઆરસી જોડાયેલા છે. એનપીઆર આ માટે આધારની જેમ કામ કરશે.

આ સાથે તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. મનિષ તિવારીએ કહ્યું કે નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં.

આ બધા વચ્ચે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પણ મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને ધમકીભર્યા અંદાજમાં ચેતવ્યા છે. અબુ આઝમીએ કહ્યું કે જે પ્રકારે કેરળ અને બંગાળમાં પ્રસ્તાવ પાસ થયો, તે જ રીતે મહારાષ્ટ્ર પણ કરે, આ કાયદાથી મુસલમાનોને પરેશાની થશે. જો મહારાષ્ટ્રમાં જનગણતરીની જેમ જ એનપીઆર લાગુ કરાયો તો ઠીક નહીં થાય. અમે તેનો વિરોધ કરીએ છીએ. હાલ અમે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને ભલામણ કરી રહ્યાં છીએ. પરંતુ જરૂર પડી તો અમે તેનો આકરો વિરોધ કરતા પણ ખચકાઈશું નહીં.અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની સરકાર કોંગ્રેસ, એનસીપી અને સમાજવાદી પાર્ટી જેવી નાની પાર્ટીઓના ધારાસભ્યોના સમર્થન પર ટકેલી છે. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે શુક્રવારે રાતે દિલ્હીમાં મુલાકાત બાદ કહ્યું હતું કે સીએએ અને એનપીઆર પ્રદેશમાં લાગુ કરવા માટે તેમની સરકાર કાયમ છે.

આ બાજુ સમગ્ર મામલે રાજયના ગૃહમંત્રી અનિલ દેશમુખનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જે પણ કહ્યું તેના પર અમારે કોઈ પ્રતિક્રિયા આપવી નથી. પરંતુ CAA અને NPRના આખો મામલો ત્રણેય પાર્ટીઓની સમન્વય સમિતિ પાસે જશે અને સમિતિ જે નિર્ણય લેશે તેને રાજય શાસન તરફથી જણાવવામાં આવશે.

(3:56 pm IST)