નીરવ મોદી જેવું એક કૌભાંડ
ફ્રોસ્ટ ઇન્ટરનેશનલે ૧૪ બેંકોને લગાડયો ૩૫૦૦ કરોડનો ચૂનો
નવી દિલ્હી, તા.૨૨: નીરવ મોદી, સ્ટર્લિંગ બાયોટેકની જેમ જ વધુ એક કંપનીએ ૧૪ સરકારી બેંકોને ૩.૫ હજાર કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો છે. સીબીઆઈએ ૧૪ બેંકો સાથે ૩,૫૯૨ કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી મામલે યુપીના કાનપુરની કંપની ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ, તેના ડિરેકટર્સ ઉદય દેસાઈ અને સુજય દેસાઈ ઉપરાંત અન્ય ૧૧ સામે કેસ નોંધ્યો છે. કાનપુર, દિલ્હી, મુંબઈ સહિત દ્યણા શહેરોમાં કંપનીની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. આરોપ છે કે, કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા સહિત ૧૪ બેંકોમાં ડિફોલ્ટ કર્યું છે. આરોપીઓ સામે લુકઆઉટ સર્કુલર ઈસ્યૂ કરાયો છે, જેથી તે દેશ છોડીને ભાગી ન શકે.
સીબીઆઈ અધિકારીઓએ કહ્યું કે, આ કાર્યવાહી બેંક ઓફ ઈન્ડિયાના કાનપુર ઝોન કાર્યાલયની ફરિયાદ પર કરવામાં આવી છે. બેંક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, કાનપુર સ્થિત કંપની જુદી-જુદી વસ્તુઓની નિકાસ સાથે જોડાયેલી છે. તેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. કંપની બાંગ્લાદેશ, ચીન, યુએઈ, અમેરિકા, કમ્બોડિયા, સાઉદી અરેબિયા, સ્વિટ્ઝરલેન્ડ, તાઈવાન સહિત ઘણા દેશોમાંથી ખરીદ-વેચાણ કરે છે.
ફરિયાદમાં કહેવાયું છે કે, કંપનીએ ગ્બ્ત્દ્ગક્ન નેતૃત્વમાં બનેલી ૧૪ સરકારી બેંકોના કસ્ટોર્ડિયમમાંથી લગભગ ૪૦૬૧.૯૫ કરોડની ક્રેડિટ ફેસિલિટી લીધી હતી. કથિત રીતે કંપનીએ ફંડને અનસિકયોર્ડ લોન અને એડવાન્સ તરીકે નોન-બિઝનેસ પાર્ટીઓને ડાયવર્ટ કરી દીધું. તપાસમાં કંપનીની લેવડ-દેવડમાં હેરફાર હોવાનું જણાયું અને દર્શાવાયેલી ઘણી ટ્રેડિંગ પાર્ટીઓનું અસ્તિત્વ જ ન હતું.
કંપનીના સામાન ખરીદી અને માલ ટ્રાન્સપોર્ટેશનના વિવરણમાં ગરબડ મળી. બિલ્સમાં પણ હેરફેર જણાઈ. આ બધી વાતોથી એ સંકેત મળ્યો કે કંપની હકીકતમાં બિઝનેસ લેવડ-દેવડનેબદલે સમાનનો નિકાસ નથી કરતી. કંપનીએ રૂપિયા લેવાના છે તેમની યાદી સોંપી જેમની પાસેથી ૧૨ મહિના પછી પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.
અધિકારીઓએ કહ્યું કે, બેંકનો આરોપ છે કે ડિરેકટરોએ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીવાળી લોન આપનારી બેંકોના જૂથને ચૂકવણી કરવામાં ચૂક કરી છે. તેમણે કહ્યું કે, કંપની અને તેના ડિરેકટર્સ, જામીનદારો અને અન્ય અજાણ્યા લોકોએ નકલી દસ્તાવેજ જમા કરાવ્યા અને બેંકમાંથી લેવાયેલી પૂંજીની હેરફેર કરી તેને બીજી જગ્યાએ મોકલી દીધી. અધિકારીઓએ કહ્યું કે, કંપની અને તેના ડિરેકટરોએ બેંક સાથે ૩,૫૯૨.૪૮ કરોડની છેતરપિંડી કરી છે.