સોપિયન ખાતે અથડામણ થતાં ત્રણ આતંકવાદી ઠાર
મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરાયા
સોપિયન, તા. ૨૨ : જમ્મુ કાશ્મીરમાં સોપિયન જિલ્લાના જૈનાપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ અથડામણમાં ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અથડામણમાં માર્યા ગયેલા ત્રણ ત્રાસવાદીઓમાંથી એક ભારતીય પોલીસ સેવા અધિકારીના ભાઇ પણ હતા. પોલીસ સુત્રોના કહેવા મુજબ હેફ શેરમલ ગામમાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આતંકવાદીઓને લઇને ભારતીય સેના હાલમાં કઠોર કાર્યવાહી કરી રહી છે. કલાકો સુધી કાર્યવાહી ચાલી હતી. બીજી બાજુ અથડામણ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી હથિયારો જપ્ત કરાયા છે. દેખાવકારોએ ઓપરેશનને નિષ્ફળ કરવા માટે પથ્થરમારો કર્યો હતો. આના જવાબમાં પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં સ્થિતિ તંગ બની હતી. મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માર્યા ગયેલાઓમાં હિઝબુલના કમાન્ડરનો સમાવેશ થાય છે.