હારવાનો ડર ? ૩ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માંગે છે રાહુલ ગાંધી
અમેઠી, નાંદેડ અને મ.પ્રદેશની કોઇ સુરક્ષિત બેઠકનો સર્વે
મુંબઇ તા. ૨૨ : આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે એવી ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી સહિત ૩ લોકસભા બેઠકોથી ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણના ગૃહ કસ્બા નાંદેડની સાથે સાથે મધ્ય પ્રદેશની પણ કોઈ સુરક્ષિત બેઠક પરથી તેઓ ચૂંટણી લડે તેવી ચર્ચા છે.
રાહુલ ગાંધી નાંદેડથી ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ પર અશોક ચૌહાણે જે નિવેદન આપ્યું તેનાથી ચર્ચાને વેગ મળ્યો છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન ચૌહાણે કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ કોઈ પણ લોકસભા બેઠકથી સફળતાપૂર્વક ચૂંટણી લડી શકે છે. જો તેઓ નાંદેડથી ચૂંટણી લડવા માંગતા હોય તો તેમનું ખુબ સ્વાગત છે.
અત્રે જણાવવાનું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ચૌહાણ નાંદેડ બેઠકથી ચૂંટાઈ આવ્યાં હતાં. એક મહિના પહેલા જયારે ચૌહાણે પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારે તેમણે કાર્યકર્તાઓને રાજયમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પર ફોકસ કરવાની અપીલ કરી હતી. જેથી કરીને તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં પ્રમુખ દાવેદાર બની શકે. રાહુલ ગાંધીએ માર્ચ ૨૦૦૪માં રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તેઓ સતત ત્રણ વાર ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. પહેલીવાર ૨૦૦૪માં ચૂંટાયા હતાં. ત્યારબાદ ૨૦૦૯ની ચૂંટણી પણ તેમણે અમેઠીથી જીતી હતી. અને ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મોદીલહેર વચ્ચે પણ ભાજપના સ્મૃતિ ઈરાનીને હરાવીને સાંસદ તરીકે ચૂંટાયા હતાં. અગાઉની લોકસભા ચૂંટણી વખતે રાહુલે પોતાના હરિફોને ૩ લાખ કે તેથી વધુ મતોથી માત આપી હતી. ૨૦૦૪માં તેઓ ૨ લાખ ૯૦ હજાર મતોથી જીત્યા હતાં. જો કે ૨૦૧૪માં સ્મૃતિ ઈરાનીએ જબરદસ્ત ટક્કર આપી હતી. રાહુલની જીતનું અંતર ઘટીને ૧ લાખ ૭ હજાર મતો પર પહોંચ્યું હતું. કહેવાય છે કે આ વખતે પણ સ્મૃતિ ઈરાની અમેઠીથી જ ચૂંટણી લડી શકે છે અને તેઓ સતત ત્યાંની મુલાકાત લઈ રહ્યાં છે.(૨૧.૨૫)