મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સભ્યોએ મકરસંક્રાંતિ તેમજ ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની રંગેચંગે કરેલી ઉજવણીઃ સંસ્થાના અગ્રણી મનુભાઇ પટેલના નવયુવાન પુત્ર મનીષનું નિધન થતા શોકાંજલી અર્પણ કરાઇઃ ફાર્માસીસ્ટ વિનોદભાઇ પટેલે કોલોસ્ટ્રોલ તેમજ બ્લડ પ્રેસર અંગે સીનીયર સભ્યોને આપેલી માહિતી

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સીનીયરોના હિતાર્થે ડેસપ્લેઇન્સ વિસ્તારમાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો નામની સંસ્થા કાર્યવંત છે તેના સભ્યોની એક સભા તાજેતરમાં વિલીંગ ટાઉનના સ્વામીનારાયણ મંદિરમાં યોજવામાં આવી હતી અને તે દિવસે પુષ્કળ પ્રમાણમાં સ્નો તથા ઠંડી પડી હોવા છતાં ૨૦૦ જેટલા ભાઇ-બહેનોએ તેમાં હાજરી આપી હતી.

માસિક મીટીંગની શરૂઆત દિપપ્રાગટ્ય વિધીથી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ રમણભાઇ પટેલ, મનુભાઇ પટેલ, ન્યુજર્સીના નટવરભાઇ પટેલ, હસમુખભાઇ સોની તથા મંત્રી રમેશભાઇ ચોકસીએ ભાગ લીધો હતો.

મહિલા વિભાગના અગ્રણી જ્યોત્સનાબેન ચોકસીએ હનુમાન ચાલીસા આ પ્રસંગે રજુ કર્યા હતા અને તમામ ભાઇ-બહેનોએ તેમાં જરૂરી સાથ અને સહકાર આપ્યો હતો. સંસ્થાના સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ આ પ્રસંગે સૌ સભ્યોને આવકાર આપ્યો હતો અને ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યુ હતું. ત્યારબાદ મકરસંક્રાંતિના પર્વ વિષે વિસ્તૃત માહિતીઓ તેમણે સભ્યોને આપી હતી.

આ પ્રસંગે સંસ્થાના અ ગ્રણી પ્રદ્યુમન પાઠકે પણ મકરસંક્રાંતિ પર્વનો પણ ઉલ્લેખ કર્યો હતો અને હિંદુ ધર્મમાં તેનું મહત્વ શું છે તે અંગે જરૂરી માહિતીઓ આપી હતી. તેમણે હાલમાં કેન્દ્ર સરકારમાં કેટલાક ખાતાઓમાં તાળાબંધી ચાલી રહેલ હોવાથી તેની અસર સામાન્ય જનતા પર શી થાય છે તેની વિસ્તૃત માહિતીઓ તેમણે આપી હતી. તેમણે આ પ્રસંગે પંચમહાભૂત કે જેમાં પ્રકાશ, પૃથ્વી, અગ્નિ તેમજ વાયુ અને પાણીનો સમાવેશ થાય છે તે અંગે યોગ્ય રજુઆતો કરી હતી.

વધુમાં આ સંસ્થાના અગ્રણી મનુભાઇ પટેલના યુવાન પુત્ર મનીષનું ૪૩ વર્ષની ઉંમરે હૃદયરોગના હૂમલાથી અચાનક અવસાન થતા તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને તેમના આત્માની શા ંતિ અર્થે એક મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનુભાઇ પટેલ તથા નટવરભાઇ પટેલ કે જેઓ ન્યુજર્સીમાં રહે છે તેમણે સ્વ. મનીષ અંગે જે લાગણીઓ તથા સદ્ભાવનાઓ વ્યકત કરવામાં આવી તે બદલ તેમણે આભારની લાગણીઓ વ્યકત કરી હતી.

આ સભામાં વિનોદભાઇ પટેલ કે જેઓ ફાર્માસીસ્ટ છે તેમણે કોલોસ્ટ્રોલ તથા બ્લડ પ્રેસર અંગે જરૂરી માહિતીઓ આપી હતી અને સીનીયર ભાઇ-બહેનો તેનો ભોગ ન બને તેના ઉપાયો તેમણે સુચવ્યા હતા. આ મહિનામાં જે સભ્યોના બર્થ ડે આવતા હશે તેની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.

અંતમાં સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ વિખુટા પડ્યા હતા.

 

(6:31 pm IST)