કોરોનાનું જોર વધતા આયુર્વેદિક દવાઓની ખરીદીમાં પુનઃ વધારો
સપ્ટે. ઓકટોબરમાં દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો હતોઃ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે અને સાવચેતીના ભાગરૂપે લોકો આયુર્વેદીક દવાઓ તરફ વળ્યા છે
રાજકોટ તા. ર૧ :.. કોરોનાનો વ્યાપ શહેરમાં વધવાની સાથે જ તેની સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શકિત વધારવાનું એક સુચન આવ્યુ હતું. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે લોકોએ આયુર્વેદીક દવાઓના સેવન તરફ વળ્યા હતાં. એપ્રિલ મહિનથી શહેરમાં એક અંદાજ મુજબ આયુર્વેદીક દવાઓના વેચાણમાં વધારો નોંધાયો હતો. આ વધારો લગભગ ૩ ગણો હતો.
જેમાં સુદર્શન ઘનવટી, ગીલોઇ ઘનવટી, ચ્યવનપ્રાસ, તુલસીના ટીપા, ખરાદીવટી, અરડુસી, આયુષ ઉકાળા (કાઢા)નું ધુમ વેચાણ થયુ હતું. સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં કોરોનાનું જોર શહેરમાં ઘટતા આયુર્વેદીક દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ પુનઃ કોરોનાએ માથુ ઉંચકતા પુનઃ બે દિવસથી આયુર્વેદીક દવાઓના વેચાણમાં વધારો નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. જાણકારોના મત મુજબ આયુર્વેદીક દવાઓના વેચાણમાં હવે નોંધાયેલા વધારો નવા રેકોર્ડ સર્જશે તેવુ માનવામાં આવી રહ્યું છે.