બિહારની ચૂંટણી પહેલા ઈલેકટોરલ બોન્ડ થકી પક્ષોને મળ્યુ રૂ. ૨૮૨ કરોડનુ દાન
૩ વર્ષમાં રાજકીય પક્ષોને મળ્યા રૂ. ૬૪૯૩ કરોડ
નવી દિલ્હી, તા. ૨૧ :. બિહાર ચૂંટણી પહેલા ઓકટોબરમાં એસબીઆઈએ રાજકીય પક્ષોને ફંડ આપતા ૨૮૨ કરોડ રૂપિયાના ઈલેકટોરલ બોન્ડનું વેચાણ કર્યુ હતું. આ સાથે ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજકીય પક્ષોને ૬૪૯૩ કરોડ રૂપિયાનો ફાળો મળી ચૂકયો છે.
ઈન્ડીયન એકસપ્રેસ તરફથી દાખલ આરટીઆઈની માહિતીમાં સામે આવ્યુ છે કે બેન્કે ૧૯ ઓકટોબરથી ૨૮ ઓકટોબર સુધી જારી કરેલા આ બોન્ડની શ્રેણીમાં ૧ કરોડ રૂપિયાની કિંમતના લગભગ ૨૭૯ બોન્ડનુ વેચાણ કર્યુ. સાથોસાથ ૧૦ લાખ રૂ.ના ૩૨ બોન્ડ વેચ્યા હતા.
ડેટા અનુસાર એસબીઆઈની મુંબઈ સ્થિત મુખ્ય શાખાએ ૧૪મી શ્રેણીમાં ૧૩૦ કરોડ રૂપિયાના બોન્ડ જારી કર્યા હતા. તો દિલ્હીની શાખાએ માત્ર ૧૧.૯૯ કરોડના બોન્ડ જારી કર્યા. પટણા સ્થિત બ્રાન્ચમાંથી માત્ર ૮૦ લાખ રૂ.ના બોન્ડનું વેચાણ થયુ. ભુવનેશ્વરથી ૬૭ કરોડ, ચેન્નઈથી ૮૦ કરોડ, હૈદરાબાદથી ૯૦ કરોડના બોન્ડ તોડવામાં આવ્યા હતા.
ઈલેકટોરલ બોન્ડ મુખ્યમંત્રી રાજકીય પક્ષોને ફન્ડીંગ માટે લાવવામાં આવ્યા છે. એસબીઆઈ દ્વારા ૧૦૦૦, ૧૦૦૦૦, ૧૦૦૦૦૦ અને ૧૦,૦૦૦૦૦ રૂપિયા અને ૧ કરોડ રૂપિયાના મૂલ્યના બોન્ડ જારી કરવામાં આવ્યા છે. તેને લોકો અજ્ઞાત રીતે ખરીદી શકે છે અને રાજકીય પક્ષોને દાન કરી શકે છે.
૩ વર્ષમાં દાનવીરોએ ૬૪૯૩ કરોડ રૂપિયાનો ફાળો રાજકીય પક્ષોને આપ્યો છે.