દિલ્હીમાં શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર વચ્ચે સૂચક-મહત્વની મુલાકાત : રાજકારણમાં ગરમાવો
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલા શરદ પવારને મળતા તર્કવિતર્ક
નવી દિલ્હી : મહારાષ્ટ્ર્રમાં સરકાર રચવાની દિશામાં અનિશ્ચિતતા ભર્યા માહોલ વચ્ચે વડાપ્રધાન મોદી અને એનસીપીના પ્રમુખ શરદ પવારની દિલ્હી ખાતે યોજાયેલી મુલાકાતે ભારે રાજકીય ઉત્તેજના જગાવી છે ત્યારે વડાપ્રધાન ની મુલાકાત બાદ શરદ પવાર અને શંકરસિંહ વાઘેલાની સૂચક અને મહત્વની મુલાકાતે પણ કેન્દ્રીય રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે.
એનસીપીના ગુજરાતના પ્રમુખ શંકરસિંહ વાઘેલા વહેલી સવારે ત્રણ દિવસ માટે દિલ્હી પહોંચી ગયા છે યાં તેઓ શરદ પવારને મળ્યા હતા અને મહારાષ્ટ્ર્રમાં સરકાર રચવામાં ગૂંચવાયેલી પરિસ્થિતિનો રાજકીય ઉકેલ લાવવાની દિશામાં બંને દિગ્ગજો વચ્ચે ખૂબ જ મહત્વની ચર્ચા વિચારણા થઇ હતી તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
શરદ પવારની વડાપ્રધાન મોદી સાથે પહેલી મિટીંગ બાદ તુરત જ શંકરસિંહ વાઘેલા સાથે થયેલી મુલાકાતે રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. આ ત્રણે દિગ્ગજોની જુદી જુદી બેઠકમાં શું ચર્ચાથી તે અંગે કોઈ નક્કર વિગતો બહાર આવી શકયું નથી પરંતુ મહારાષ્ટ્ર્રમાં સરકાર રચવાની દિશામાં દિલ્હીમાં કંઈક રંધાઈ રહ્યું છે તેવા સંકેતો બહાર આવી રહ્યા છે.