બેંકોના મર્જરના વિરોધમાં
કાલે દેશવ્યાપી બેંક હડતાલનું એલાન
ચાલુ સપ્તાહે ૩ દિવસ બેંકો બંધ રહેશે
નવી દિલ્હી તા ૨૧ : દિવાળી પહેલાં ત્રણ દિવસો સુધી બેન્કિંગ સેવા બંધ રહેવાને કારણે વ્યવસાયિક કામકાજની સાથે સાથે ખરીદારી કરનારા લોકોની પ્લાનિંગ ફેલ થઇ શકે છે. કારણ કે બેન્કોએ એક વાર ફરી ૧૦ બેન્કોના વિલયના વિરોધમાં ૨૨ ઓકટોબરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ત્યારે અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી મહા સંઘે ૨૨મી ઓકટોરબરે હડતાળનું એલાન કર્યુ છે. જયારે ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસે તેનું સમર્થન કર્યુ છે. હડતાળના કારણે મોટા ભાગની સરકારી બેન્કને અસર થશે.
આ હડતાળને કારણે દિવાળીનો દિવસ ગણીને ૩ દિવસ બેન્કો બંધ રહેશે. ૨૭ ઓકટોબરે દિવાળી છે, જોકે તે દિવસે રવિવાર છે, જયારે ૨૬ ઓકટોબરે ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
બેન્ક યુનિયનનો આરોપ છે કે બેન્કોના વિલયથી અનેક કર્મચારીઓની નોકરી પર જોખમ ઉભુ થયું છે. સરકારના નિર્ણયથી બેન્કના કર્મચારીઓ બેરોજગાર થવાના છે.