મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

તાપસી પન્નુ એ અનુરાગ સાથેની મોનોક્રોમ તસ્વીર શેયર કરી

અનુરાગ કશ્યપના બચાવમાં તાપસી પન્નુ આવી : ફિલ્મ પટેલ કી પંજાબી શાદીમાં જોવા મળેલી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો

ગાંધીનગર, તા.૨૦ : બોલિવુડના જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે એક્ટ્રેસ પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અનુરાગ પર આ આરોપ લાગ્યા બાદ એક્ટ્રેસ તાપસી પન્નુ અનુરાગ કશ્યપના બચાવમાં આવી છે. તાપસીએ અનુરાગ સાથેની એક મોનોક્રોમ તસવીર શેર કરી છે. જે લગભગ કોઈ ફિલ્મ સેટની છે. તસવીર શેર કરતાં તાપસી પન્નુએ લખ્યું, મારા ફ્રેન્ડ તારા માટે. હું જાણું છું તેમાંથી તું સૌથી મોટો ફેમિનિસ્ટ (નારીવાદી) છે. ફરી એકવાર જલદી જ ફિલ્મના સેટ પર મળીશું, જ્યાં તું તારી કળા દ્વારા જે દુનિયા ઊભી કરે છે તેમાં મહિલાઓને કેટલી શક્તિશાળી અને મહત્વપૂર્ણ દર્શાવે છે. જણાવી દઈએ કે, તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે સાંડ કી આંખ અને મનમર્ઝિયા ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'માં જોવા મળેલી એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે ટ્વિટ કરીને લખ્યું, અનુરાગ કશ્યપે મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી અને મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય અને વડાપ્રધાન મોદીને આ ટ્વિટમાં ટેગ કરીને પાયલે આગળ લખ્યું, *નરેન્દ્ર મોદીજી પ્લીઝ એક્શન લો, જેથી ક્રિએટિવ વ્યક્તિ પાછળ છુપાયેલા રાક્ષસની દેશને ખબર પડે. મને ખબર છે કે આ મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા ખતરામાં છે, પ્લીઝ મદદ કરો.

 પાયલે જણાવ્યું કે, તેણે મીટુ મૂવમેન્ટ વખતે પણ ટ્વિટ કર્યું હતું. પરંતુ ઘણા લોકોએ તેને ટ્વિટ ડિલિટ કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, આવું કરીશ તો કામ નહીં મળે. જો કે, અનુરાગ સામે કોઈ પુરાવા હોવાનો પાયલે ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું, *મારી પાસે કોઈ પુરાવા નથી કારણકે ઘટનાને ઘણો સમય થયો છે અને એ પછી ઘણા ફોન બદલ્યા છે. ઘરે જે થયું તે પણ રેકોર્ડ નથી કર્યું. મેં આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે. જેથી બીજી યુવતીઓ સતર્ક થઈ શકે.

(12:00 am IST)