મુખ્ય સમાચાર
News of Tuesday, 21st May 2019

મધ્યપ્રદેશ સરકાર બાદ હવે સીએમ કમલનાથના પુત્રની શૈક્ષણિક સંસ્થા IMT સંકટના વાદળો : ગેરકાયદે જમીન હડપવાનો આરોપ

ટૂંકસમયમાં સીબીઆઈના સકંજામાં ફસાઈ શકે :ભાજપ કોર્પોરેટર રાજેન્દ્ર ત્યાગીએ રાજ્યપાલ રામ નાઈકને 'કેગ' અને 'સીબીઆઈ' તપાસ કરવા માંગણી કરી હતી

નવી દિલ્હી :દિલ્હી નજીક ગાઝિયાબાદમાં આવેલ શૈક્ષણિક સંસ્થા -ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (IMT) ટૂંક સમયમાં જ સીબીઆઈના સકંજામાં ફસાઈ શકે છે ગેરકાયદે જમીન કબ્જે કરવાના મામલે લાજ્પત રાય કોલેજ માટે મંજુર કરવામાં આવેલી જમીન ઉપર દગો કરીને અહીં આઇએમટી સંસ્થાનું નિર્માણ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ આરોપોના ધ્યાને લઈને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈકે આ મામલે સીબીઆઈ તાપસ કરાવવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે.

   આ અંગે મળતી વિગત મુજબ ભાજપના વરિષ્ઠ નેતા અને પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર ત્યાગીએ આ મામલે રાજ્યપાલ રામ નાઈકને 'કેગ' અને 'સીબીઆઈ' તપાસ કરવા માંગણી કરી હતી. સમગ્ર મામલો હવે મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સાથે સંકડાઈ ગયો છે ! કારણ કે, કમલનાથના પુત્ર બકુલનાથ દેશની આ નામાંકિત સંસ્થા -આઇએમટીના પ્રેસિડન્ટ છે.

  બીજી તરફ ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલય, મેરઠ દ્વારા લજપતરાય કોલેજની જમીન ઉપર આઇએમટી બનાવવા અંગેની ફરિયાદ ગંભીરતાથી લેતા આ મામલે તપાસ કરવા ચાર સભ્યોની એક સમિતિની રચના કરી દેવામાં આવી છે. આ સમિતિમાં પ્રાદેશિક ઉચ્ચ શિક્ષણ અધિકારી ડો. રાજીવ ગુપ્તા, યુનિવર્સીટીના સહાયક કુલસચિવ ડો. સંજીવકુમાર, ડીએવી કોલેજ, મેરઠના પૂર્વ આચાર્ય ડો.વીકે અગરવાલ સામેલ છે. કહેવાય છે કે, ગાઝિયાબાદ વિકાસ સત્તામંડળ (જીડીએ) ની તપાસમાં જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરવામાં આવ્યો હોવાની ખરાઈ થઇ ચુકી છે.

 આ સંસ્થા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પિતા મહેન્દ્રનાથ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં સીએમ કમલનાથ પણ ડિરેક્ટર રહી ચુક્યા છે.

(2:48 pm IST)