આજે અમિત શાહ એનડીએના નેતાઓ સાથે ડિનર કરશે
કેબિનેટ બેઠક પણ મળશેઃ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે
નવી દિલ્હી તા. ર૧ :.. મોટા ભાગના એકિઝટ પોલમાં એનડીએની સરકાર બનશે એવી ભવિષ્યવાણી બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આવતી કાલે મંગળવારે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ના તમામ નેતાઓને તેમના નિવાસસ્થાને ડીનર માટે બોલાવ્યા છે. એવું માનવમાં આવી રહ્યું છે કે ર૩ મેએ પરિણામ આવ્યા બાદ નવી સરકારમાં કોની શું ભૂમિકા હશે એ વિશેની ચર્ચા માટે અહીં ચર્ચા વિચારણા કરવામાં આવશે.મોદી કેબિનેટના તમામ પ્રધાનો સાથે મંગળવારે મુલાકાત કરવાના છે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ પણ હાજર રહેશે એવી શકયતા છે.સોનિયા ગાંધીએ ર૩ મેએ દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક બોલાવી. છે. એકિઝટ પોલમાં હાર બાદ સોનિયા ગાંધીએ એનડીએનાં વિરોધી દળો સાથે સંપર્ક સાધીને રણનીતિ બનાવવાની ચર્ચા કરવા માટેની જવાબદારી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને પી. ચિદમ્બરમ સહિતના વરિષ્ઠ નેતાઓને સોંપી છે. જોકે આ બેઠક પૂર્વે જ માયાવતીએ એમાં સામેલ થવાની સંભાવનાઓને નકારી કાઢી છે.