રેલ્વે હવે ટિકીટ ઉધાર પણ આપશેઃ ૧૪ દિવસમાં ભાડુ ચૂકવવું પડશે
નવી દિલ્હી તા. ર૧ :.. ઉનાળુ વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ ઘણી વખત લાંબા અંતરની મુસાફરી વખતે ટ્રેનની ટિકીટનું ભાડું બજેટ ખોરવી નાખે છે. જો કે, હવે ફરવા જનારા યાત્રીઓએ ટ્રેનની ટિકીટનું ભાડુ તરત ચુકવવાની ચિંતામાંથી મુકિત આપવા રેલવે તંત્ર દ્વારા ઉધાર ટિકીટ આપવાની યોજના શરૂ કરાઇ છે.
આ યોજના અંતર્ગત યાત્રીએ ટ્રેનની ટિકીટ બુક કરતી વેળા ભાડુ ચુકવવાનું નથી, પરંતુ ટિકીટ બુકીંગના ૧૪ દિવસ સુધીમાં ગમે ત્યારે ભાડુ ચુકવી શકશે. ભાડુ ઉપરાંત ૩.પ ટકા એકસ્ટ્રા સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. મુસાફરોએ યાત્રાના પાંચ દિવસ પહેલાં ટિકીટ ખરીદવી પડશે તેમ જ ટિકીટ ખરીદ્યા બાદ ૧૪ દિવસની અંતર એનું ચુકવણું કરી દેવાનું રહેશે. જો યાત્રી ૧૪ દિવસમાં ટિકીટનું ભાડુ નહીં ચુકવે તો ભાડુ ઉપરાંત દંડની વસુલાત કરશે.
આ એક પ્રકારની બેન્ક લોન જ છે જેના માટે આઇઆરસીટીસી દ્વારા કેટલીક ખાનગી બેન્કો સાથે કરાર કરવામાં આવ્યો છે. જો કે, ટ્રેનની ટિકીટ બુક કરનારને કેટલા રૂપિયાની ક્રેડિટ આપવી એ તેની ક્રેડિટ હિસ્ટરી, ઓનલાઇન ખરીદી અને ડિજીટલ ફુટપ્રિન્ટના આધારે નકકી થશે.