રેસ્ટોરન્ટમાં મેન્યુમાં ડિસેઝ સાથે કેલોરીનો ઉલ્લેખ રહેશે
સ્થુળતા સામે લડવા માટે તંત્રની તૈયારી શરૃઃ ખાતી વેળા તેઓ કેટલા પ્રમાણમાં કેલોરી લઇ રહ્યા છે તેની માહિતી લોકોની પાસે રહે તે ખુબ જરૂરી : નિષ્ણાંતો
મુંબઇ,તા. ૨૧: સ્થુળતાની સમસ્યા અને પુખ્તવયના લોકો તેમજ બાળકો બંને વચ્ચે તેની વધતી જતી અસર જોવા મળી રહી છે. આ સ્થિતીને ધ્યાનમાં લઇને સ્થુળતાની સામે લડવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ સ્થિતી વચ્ચે એફડીએ કેટલાક જરૂરી પગલા લેવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રમાં સ્થુળતા ખતરનાક રીતે વધી રહી છે. જેના પરિણામસ્વરૂપે ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે લોકોને આ અંગેની માહિતી હોય કે ખાતી વેળા તેઓ કેટલા પ્રમાણમાં કેલોરી લઇ રહ્યા છે. ખાસ કરીને જ્યારે લોકો બહાર હોય છે ત્યારે કેટલા પ્રમાણમાં કેલોરી લઇ રહ્યા છે તેની માહિતી તેમની પાસે રહે તે જરૂરી છે. આરામદાયક જીવનશેલી તેમજ હાઇ કેલોરીવાળા ભોજનના કારણે ડાયાબિટીશ, હાઇ બ્લડપ્રેશર, હાર્ટને લગતી તકલીફ અને અન્ય કેટલીક બિમારી ફેલાઇ રહી છે. આનો સામનો કરવા માટે હાલમાં જ એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે રેસ્ટોરન્ટમાં મેન્યુમાં લખવામાં આવેલી વસ્તુઓમાં કેટલા પ્રમાણમાં કેલોરી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે. આવનાર દિવસોમાં અંતિમ પ્રસ્તાવ બનાવવા માટે તમામ સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવનાર છે. ભોજન અને પેકેજિંગ, રેસ્ટોરન્ટના માલિકો અને અન્યો સાથે આ વિષય પર ચર્ચા કરવામાં આવનાર છે.