મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

કર્ણાટક : કુમારસ્વામીની બુધવારે તાજપોશી કરાશે

કાલે સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચશે : શપથવિધિમાં મમતા, માયાવતી, અખિલેશ યાદવ તેમજ ચંદ્રાબાબુ નાયડુને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયું

બેંગલોર, તા.૨૦ : કર્ણાટકમાં જોરદાર ઘટનાક્રમના દોર બાદ બુધવારે જેડીએસના નેતા કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કુમારસ્વામી મુખ્યમંત્રીના શપથ લેતા પહેલા આવતીકાલે સોમવારે દિલ્હી જશે. દિલ્હીમાં તેઓ યુપીએના વડા સોનિાય ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળશે. બીજી બાજુ શપથવિધિને મેગા શો બનાવવાની તૈયારી પણ કરવામાં આવી છે. બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કાંતિરવા સ્ટેડિયમમાં શપથવિધિ થશે. મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, ચંદ્રશેખર રાવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ત્રણથી ચાર લાખ લોકો ઉપસ્થિત રહે તેમ પણ માનવામાં ઓ છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, રાજ્યપાલે અમને ૧૫ દિવસમાં બહુમતિ સાબિત કરવા માટે કહ્યું છે. હકીકતમાં અમને આટલા સમયની જરૂર નથી. તેઓ વહેલી તકે વિશ્વાસમત લઇને આવશે. કુમારસ્વામી બુધવારે બપોરના ગાળામાં મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર છે. જો કે, મંત્રીમંડળની રચના કોંગ્રેસ સાથે વાતચીત કર્યા બાદ મોડેથી લેવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યપાલ વજુભાઈ વાળા બુધવારના દિવસે કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવશે. કર્ણાટક ચૂંટણી પરિણામ આવ્યા બાદ બહુમતી પુરવાર કરવાના ઘટનાક્રમમાં ભાજપની હાર થયા બાદ હવે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બનશે. ભાજપ તરફથી યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધા બાદ ગઠબંધન સરકારનો માર્ગ મોકળો થયો હતો. કુમારસ્વામીના નેતૃત્વમાં એક ટીમ મોડેથી રાજ્યપાલને મળી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.  રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરી દેવામાં આવ્યો હતો. તમામ સાથે ચર્ચા બાદ મંત્રીમંડળની રચના કરવામાં આવશે. કુમારસ્વામીએ કહ્યું હતું કે તેઓ દેશની ન્યાય વ્યવસ્થાને અભિનંદન આપે છે. ન્યાયતંત્રના લીધે લોકશાહીની રક્ષા થઈ છે. અમે સહકાર આપી રહ્યા છીએ. તેઓએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ આભાર માન્યો હતો. માયાવતીનો પણ આભાર માન્યો હતો. કુમારસ્વામીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ અન્ય બાબતો પણ સ્પષ્ટ કરવામાં આવશે. ગઠબંધનની પાસે બહુમતી કરવા વધુ સભ્યો છે. આ પહેલા ભાષણ આપ્યા બાદ યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધુ હતું. કોંગ્રેસ-જેડીએસની પાસે ૧૧૬ ધારાસભ્યો છે. રાજ્યમાં બહુમતી માટે જરૂરી સંખ્યા ૧૧૨ની છે. સરકારની સ્થિરતાને લઈને હજુ પણ સંકટ રહેશે. કુમારસ્વામી એક સ્થિર સરકાર આપી શકશે કે કેમ તેને લઇને હજુ પણ શ્રેણીબદ્ધ પ્રશ્નો થઇ રહ્યા છે. કારણ કે કોંગ્રેસ અને જેડીએસના સભ્યો મળીને પણ સભ્યોની સંખ્યા ૧૧૬ થઇ રહી છે જે બહુમતિના આંકડાથી ખુબ જ વધારે નથી. આવી સ્થિતિમાં કુમારસ્વામી સામે પડકાર રહેશે.

(12:00 am IST)