મુખ્ય સમાચાર
News of Monday, 21st May 2018

ઇ ટ્યુરિસ્ટ વિઝાથી ૧૪૦૦ કરોડની જંગી આવક થઇ છે

૨૫ લાખ પ્રવાસીઓ સ્કીમનો લાભ ઉઠાવશે : ૨૦૧૪માં ઇ-વિઝાની શરૂઆત કરવામાં આવ્યા બાદથી લોકપ્રિયતામાં વધારો : ૧૬૩ દેશોના પ્રવાસીઓ પહોંચ્યા

નવીદિલ્હી, તા. ૨૦ : સરકારે સફળ ઇ-વિઝા સ્કીમથી રેવેન્યુ તરીકે ૧૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રવાસી તરીકે ભારતના પ્રવાસે ૧૬૩ દેશોના નાગરિકો આવ્યા છે. વર્ષ ૨૦૧૪માં ઇ-વિઝા સ્કીમની શરૂઆત કરવામાં આવ્યા બાદથી રેવેન્યુ તરીકે સરકારે ૧૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, લોકપ્રિય ઇવિઝા સ્કીમનો લાભ ૨૦૧૭માં ૧૯ લાખ પ્રવાસીઓએ લીધો હતો. ૨૦૧૮માં આ આંકડો વધીને ૨૫ લાખ સુધી પહોંચી શકે છે. ૨૦૧૪માં તેની શરૂઆત કરવામાં આવ્યા બાદથી ઇ વિઝા સ્કીમ મારફતે ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુની મહેસુલી આવક થઇ ગઇ છે. અધિકારીઓના કહેવા મુજબ ઇ-વિઝાની ફી ચાર સ્લેબમાં વિભાજિત કરવામાં આવી છે જેમાં ઝીરો, ૨૫ ડોલર, ૫૦ ડોલર, ૭૫ ડોલરનો સમાવેશ થાય છે. નાગરિકતાના આધાર પર આ બાબત નક્કી કરવામાં આવે છે. ઇ-વિઝા સ્કીમને ગૃહ મંત્રાલયના ડિવિઝન દ્વારા અમલી કરવામાં આવી હતી. જુદી જુદી સર્વિસની અસરકારકતા અને પારદર્શકતાને વધારવાના હેતુસર ઇ-વિઝા સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હવે ૧૬૩ દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે. ૨૫ આંતરરાષ્ટ્રીય વિમાની મથકો અને પાંચ દરિયાઈ બંદરો મારફતે ભારતમાં પ્રવેશ કરતા ૧૬૩ દેશોના નાગરિકો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઇ-વિઝા સ્કીમ હેઠળ જ્યારે ઓનલાઈન અરજી અરજીદાર સુપરત કરે છે ત્યારે તેને ભારતમાં પ્રવાસ કરવા માટે અધિકાર મળી જાય છે અને આની મંજુરી પણ મળી જાય છે. પ્રવાસી પ્રિન્ટઆઉટ લઇને કોઇ પણ જગ્યાએ પ્રવાસ કરી શકે છે. ઇ-મેઇલ મારફતે ઓનલાઈન અરજી થયા પછી કોઇપણ વિદેશી પ્રવાસી પ્રિન્ટઆઉટ બહાર કાઢીને પોતાની સાથે રાખીને પ્રવાસ કરી શકે છે. ભારતમાં આવ્યા બાદ પ્રવાસીએ ઇમિગ્રેશન સત્તાવાળાઓ સમક્ષ આ પ્રિન્ટઆઉટ રજૂ કરવાની હોય છે ત્યારબાદ વિદેશી પ્રવાસીને ભારતમાં પ્રવેશ કરવાની તક મળે છે. ઇ-વિઝા સ્કીમમાં બિઝનેસ અને મેડિકલ કેટેગરીને આવરી લેવામાં આવી છે. જેમાં ટ્યુરિઝમ ઉપરાંતની બાબતનો સમાવેશ થાય છે. ઇ-વિઝા ઉપર આવનાર પ્રવાસી બે મહિના સુધી ભારતમાં રહી શકે છે. ઇ-વિઝા સ્કીમ હેઠળ અરજી માટેની વિન્ડો ૩૦ દિવસથી વધારીને ૧૨૦ દિવસની કરી દેવામાં આવી છે અને ઇ-વિઝા ઉપર રોકાણનીઅવધિ ૩૦ દિવસથી વધારીને ૬૦ દિવસ કરી દેવામાં આવી છે.

(12:00 am IST)