29મીએ કેરળમાં ચોમાસુ ટકરાશે : 15મી જૂન સુધીમાં અડધા દેશમાં ચોમાસુ સક્રિય થશે
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 97 ટકા વરસાદ પડવાની આશા
નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરલમાં ત્રણ દિવસ અગાઉ 29 મેના રોજ ચોમાસું ટકરાશે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત એક જૂનમાં થાય છે.હવામાન વિભાગ મુજબ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું અસર કરશે. સ્કાઇમેટે 28 મે રોજ મોનસૂન કેરલ પહોંચવાની આગાહી કરી છે. આ અગાઉ હવામાન વિભાગે મોનસૂન સામાન્ય રહેવાની વાત આગાહી કરી હતી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 97 ટકા વરસાદ પડવાની આશા છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના કહેવા પ્રમાણે, હવામાન વિભાગે કહ્યું કે, આ વર્ષે દેશમાં ચોમાસાની સ્થિતિ સામાન્ય રહેશે. શરૂઆતના 15 દિવસમાં અડધા દેશમાં ચોમાસાની શરૂઆત થઇ જશે. જૂલાઇના મધ્ય સુધીમાં આખા દેશમાં ચોમાસું શરૂ થઇ જશે.
વૈજ્ઞાનિક એકે શુક્લાએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં ચોમાસું 13 જૂન અથવા તેની આસપાસ ટકરાઇ શકે છે. ચાર સપ્તાહ માટે જાહેર ફોરકાસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્વિમ મોનસૂન સક્રીય રહી શકે છે. 15 મેની આસપાસ મોનસૂન અંડમાન નિકોબાર આવી શકે છે. ત્રીજા અને ચોથા સપ્તાહમાં અરબ સાગરમાં ચોમાસામાં થનારા સર્કુલેશનના સંકેત છે.