લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો:લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે : હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
કોરોના અંગે થયેલી સુઓમોટો અંગે હાઇકોર્ટે નોંધ્યું કે સરકાર કે તંત્ર હાલ કોઇ નાગરિકોનું સુધ લેવાવાળું નથી. તેવામાં કોરોના કાબુ કઇ રીતે થશે તેનો પણ કોઇ રોડમેપ સરકાર પાસે નથી.
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. સરકાર સબ સલામતનાં દાવાઓ કરી રહી છે પણ નાગરિકો રિતસર સારવાર હોય કે ટેસ્ટિંગ હોય કે દવા હોય રઝળી રહ્યા છે. તેવામાં હવે જનતા માત્ર હાઇકોર્ટનાં ભરોસે છે. તેવામાં કોરોના અંગે થયેલી સુઓમોટો અંગે હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સરકાર સામે લાલ આંખ કરતા હાઇકોર્ટે નોંધ્યું કે, સરકાર કે તંત્ર હાલ કોઇ નાગરિકોનું સુધ લેવાવાળું નથી. તેવામાં કોરોના કાબુ કઇ રીતે થશે તેનો પણ કોઇ રોડમેપ સરકાર પાસે નથી. તેવામાં લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે અને મુશ્કેલીમાં ઓર વધારો થશે.
Svp હોસ્પિટલની મનમાની સામે પણ હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. Svp માં રેમડેસિવિર સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. આ પ્રકારની તુમાખી ચલાવી લેવામાં નહી આવે. Svp માં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. નાગરિકો ટળવળી રહ્યા છે અને હોસ્પિટલ કોઇને ઇન્જેક્શન પુરા નથી પાડી રહી
દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહીં ચાલે તેમ પણ હાઇકોર્ટે નોંધ્યું હતું. રાજ્યમાં રેપિડ કરતા rtpcr ના ટેસ્ટિંગ પર ભાર મુકવા માટે પણ હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું
ઓક્સીજન સહીત કોવિડમાં વપરાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં ICU વેન્ટિલેટર સહીતની સુવિધાઓ પર ભાર મુકવા હાઇકોર્ટનો આદેશ. ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે.
તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પુરી પાડો.108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે. નાગરિકોનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે હાઇકોર્ટની નહી. આ પ્રકારનાં આદેશો આપ્યા બાદ સરકાર સફાળી બેઠી થાય છે. તો સરકાર શું હાઇકોર્ટ ટકોર કરે તેની રાહ જોઇ રહી હોય છે