મુખ્ય સમાચાર
News of Sunday, 21st April 2019

ચૂંટણી બાદ યુપીમાં દુશ્મની પાર્ટ-૨ શરૂ થઇ જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બાટલા હાઉસનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર પ્રશ્નો : ચૂંટણી પરિણામ આવ્યા બાદ તેમની મિત્રતાનો અંત થશ

અરેરિયા-એટા, તા. ૨૦ : વડાપ્રધાન મોદીએ બિહારના અરેરિયા અને ઉત્તરપ્રદેશના એટામાં આક્રમક ચૂંટણી સભા કરી હતી. એકબાજુ બિહારના અરેરિયામાં રેલી દરમિયાન મોદીએ બાટલા હાઉસનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓને ચેતવણી આપી હતી કે, એર સ્ટ્રાઇક ઉપર આ લોકો પ્રશ્નો કરવાની સ્થિતિમાં નથી. દિલ્હીમાં બાટલા હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બાટલા હાઉસ ઉપર પ્રશ્નો ઉઠાવવા અને શહીદ જવાનોનું અપમાન એ ગાળામાં કરવામાં આવ્યું હતું. મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, મુંબઈમાં હુમલા બાદ કોંગ્રેસના લોકો પાકિસ્તાન પર કાર્યવાહી કરવાના બદલે હિન્દુઓને ત્રાસવાદ સાથે જોડી રહ્યા હતા. એ પ્રકારની વોટ ભક્તિની રાજનીતિ કરવામાં આવી હતી જ્યારે દિલ્હીમાં બાટલા હાઉસમાં જવાનોએ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો ત્યારે આતંકવાદીઓ સામે કાર્યવાહીથી ખુશ થવાના બદલે કોંગ્રેસી નેતાઓ રડી રહ્યા હતા. બાટલા હાઉસમાં આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા. ભોપાલમાં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના નિવેદન બાદ આજે આ મુદ્દા ઉપર મોદીએ વળતા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જે લોકો પુરાવા માંગી રહ્યા હતા. બે તબક્કાના મતદાન બાદ તેમના ચહેરા ઉતરી ગયા છે. હવે આ લોકો પુરાવા માંગી રહ્યા નથી. કેટલા આતંકવાદી મર્યા હતા તેવા પ્રશ્નો કરવાનું બંધ કરી ચુક્યા છે. પ્રથમ બે તબક્કામાં મતદાન બાદ તેમના પગની નીચેની જમીન સરકી ચુકી છે. ટુકડે ટુકડે ગેંગને પ્રોત્સાહન આપવાનું કામ થતું રહ્યું છે. બીજી બાજુ એટામાં મોદીએ અખિલેશ અને માયાવતી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી બાદ ઉત્તરપ્રદેશમાં દુશ્મની પાર્ટ-૨ની શરૂઆત થશે. મહામિલાવટના લોકો સ્વાર્થમાં એકત્રિત થયા છે. ચૂંટણી બાદ દુશ્મનીની શરૂઆત થશે. પહેલા એકબીજાના ચહેરા જોતા ન હતા. આજે તેમની વચ્ચે બનાવટી મિત્રતા છે. બનાવટી મિત્રતા તુટવાની તારીખ પણ નક્કી થઇ ચુકી છે. બુઆ અને બબુઆ વચ્ચે ૨૩મી મે બાદ ફરી દુશ્મનીની શરૂઆત થશે. બુઆ અને બબુઆના શાસનકાળમાં દલિતો પર અત્યાચાર થયો હતો.

(12:00 am IST)