ભાજપની પ્રથમ યાદીમાં યુપીના 28 ઉમેદવારની જાહેરાત : યોગીના મંત્રીઓને આપી ટિકિટ :છ સાંસદોના પત્તા કપાયા
લખનૌ :આજે મોડીસાંજે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં યુપીના ર૮ ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. જેમાં યુપીમાં છ વર્તમાન સાંસદોના પત્તા કપાયા છે. જો કે યોગી સરકારનાં મંત્રીઓને પણ સાંસદની ટિકીટ અપાઈ છે જેના પત્તા કપાયા છે તેમાં સૌથી મોટા નામ રમાશંકર કઠેરીયા અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન કૃષ્ણ રાજનો સમાવેશ થાય છે.
રમાશંકર કઠેરીયા કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. તેઓ દસ વરસ આગ્રા બેઠકથી સાંસદ રહ્યા છે. આ બેઠક પર ગઠબંધનમાંથી સપાના ઉમેદવાર મેદાનમાં છે. આવામાં જ્ઞાતિવાદી સમીકરણ અને કઠેરીયા સામેના રોષને ધ્યાને રાખીને યોગી સરકારના પ્રધાન એસ પી બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. બઘેલ ર૦૧૭માં સમાજવાદી પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. બધેલ આ પહેલા સપાની ટિકિટ પર સંસદમાં ચૂંટાઇ શક્યા છે.
ઉપરાંત શાહજહાંપુરના સાંસદ અને કેન્દ્રીય રાજય પ્રધાન કૃષ્ણ રાજની જગાએ અરૂણ સાગરને મેદાનમાં ઉતાર્યા છે. તો સંભલમાં સત્યપાલ સૈનીની જગાએ પરમેશ્વરલાલ સૈનીને ટિકીટ મળી છે. ફતેહપુર સિકરીમા બાબુલાલની જગાએ રાજકુમાર ચાહરને મેદાને ઉતાર્યા છે. તો હરદોઇમાં અંશુલ વર્માની જગાએ જયપ્રકાશ રાવતને ટિકિટ આપી છે. તો મિશ્રિખથી અંજુબાલાને કાપીને અશોક રાવતને ઉતાર્યા છે.આ ઉપરાંત અન્ય રર બેઠકો પર વર્તમાન સાંસદોને રીપિટ કર્યા છે. .