મુખ્ય સમાચાર
News of Wednesday, 21st March 2018

જિંગપિંગને ફોન કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું આપણા દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે તમારી સાથે મળીને કામ કરવા માટે ઉત્સૂક

ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય સહયોગને સારો બનાવવા બન્ને દેશોની પ્રયાસોની ચર્ચા

નવી દિલ્હી :બે ટર્મની મર્યાદાને ખતમ થયા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી વરણી થયેલ શી જિંગપિંગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવવાની સાથે વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય સહયોગને સારો બનાવવાને લઈને બંને દેશો તરફથી કરાઈ રહેલી કોશિશોની પણ ચર્ચા કરી છે.

  જિનપિંગના બીજી વખત ચીનના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ તેમની સાથે વાતચીત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ દુનિયાના પહેલા નેતા છે. વડાપ્રધાન મોદીએ ચીનની સોશયલ મીડિયા સાઈટ પર શી જિનપિંગને અભિનંદન આપ્યા છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે પીએમ મોદીએ ક્હ્યુ છે કે ભારત અને ચીન બંને પ્રાચીન સભ્યતાઓ છે તથા બંનેનો વૈશ્વિક પ્રભાવ છે. તેમણે કહ્યુ હતુ કે પ્રિય રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ,તમને ફરીથી ચીનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. હું આપણા દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે તમારી સાથે મળીને કામ કરવા માટે ઉત્સૂક છું.

   ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ક્હ્યુ છે કે ભારત ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાન વધારવા, દ્વિપક્ષીય સંબંધોને ઘનિષ્ઠ બનાવવા, આંતરરાષ્ટ્રીય મામલામાં સમન્વય તથા સહયોગ મજબૂત કરવા માટે ચીનની સાથે મળીને કામ કરશે. જેથી બંને દેશો વચ્ચે વિકાસ માટેની નિકટવર્તી ભાગીદારી બને અને વૈશ્વિક તથા પ્રાદેશિક શાંતિ તથા વિકાસને પણ પ્રોત્સાહન મળે. જિનપિંગે વડાપ્રધાન મોદી તરફથી આપવામાં આવેલી શુભેચ્છાનો સ્વીકાર કર્યો છે.

  રિપોર્ટ મુજબ મોદીએ કહ્યુ છે કે શીનું ફરીથી ચૂંટાવવું દર્શાવે છે કે તેમને આખા ચીની રાષ્ટ્રનું સમર્થન પ્રાપ્ત છે. શીએ મોદી સાથે એનપીસી અને સીપીસીસીસીના વાર્ષિક સત્રો બાબતે પણ વાતચીત કરી છે. જિનપિંગે કહ્યુ છે કે આ સત્રોમાં દેશના ટોચના સ્તર પર નવા નેતૃત્વ અને સીપીસીસીસીના નવા નેતૃત્વને ચૂંટવામાં આવ્યું છે. બંધારણીય સંશોધનો જેવા મહત્વના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા અને સ્ટેટ કાઉન્સિલના સંસ્થાગત માળખાના નવા તબક્કાની શરૂઆત થઈ છે. રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે કહ્યુ છે કે ચીન પોતાના સુધારાને વ્યાપક બનાવશે અને પોતાના વિકાસની સાથે દુનિયાની સંયુક્ત પ્રગતિમાં પણ મહત્વનું યોગદાન કરશે.

  ગત સપ્તાહે જિનપિંગને કઠપૂતળી ગણાતી ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના 2970 સભ્યોએ સર્વસંમતિથી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટયા હતા. જિનપિંગ હવે માત્ર બે ટર્મ નહીં પણ આજીવન ચીનના રાષ્ટ્રપ્રમુખ રહી શકશે. તેઓ માઓ-ત્સે-તુંગ બાદ ચીનના સૌથી વધુ શક્તિશાળી નેતા તરીકે ઉભર્યા છે. જિનપિંગ ચીનના રાષ્ટ્રપ્રમુખ હોવાની સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના મહાસચિવ અને પીપલ્સ લિબરેશન આર્મીના ચીફ પણ છે.

   2017માં સિક્કિમ સેક્ટરમાં ડોકલામ ખાતે ચાલેલા 73 દિવસના સૈન્ય ગતિરોધ બાદ ભારત અને ચીનના સંબંધો સુધારવાના રાજદ્વારી પ્રયાસો થઈ રહ્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલે તાજેતરમાં બીજિંગની મુલાકાતે ગયા હતા અને ચીનના ટોચના રાજદ્વારીઓ સાથે વાતચીત કરી હતી. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન પણ એપ્રિલમાં ચીનની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે જૂનમાં ચીનના કિંગદાઓમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠકમાં મુલાકાતની શક્યતા છે

(8:57 pm IST)