કથા સાંભળવા યુવાનોની સંખ્યામા વધારો ભાવિ પેઢી માટે સારી નિશાનીઃ પૂ.મોરારીબાપુ
મુંબઇમાં કેન્સર પિડીત દર્દીઓના લાભાર્થે આયોજીત ''માનસ રામ જનમ કે હેતુ અનેકા'' શ્રીરામકથાનો પાંચમો દિવસ
રાજકોટ તા.૨૧: ''કથા સાંભળવા માટે આવતા યુવાનોની સંખ્યામા વધારોએ ભાવિ પેઢી માટે સારી નિશાની છે તેમ મુંબઇ ખાતે પરમાર્થ સેવા સમિતી અને નરગિસ દત્ત ફાઉન્ડેશન દ્વારા કેન્સર પિડીત દર્દીઓના લાભાર્થે આયોજીત ''માનસ રામ જનમ કે હેતુ અનેકા'' શ્રીરામકથાના પાંચમા દિવસે જણાવ્યુ હતુ.
ગઇકાલે ચોથા દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે ગુરૂ મતવાલો હોવા જોઇએ-એટલે કે પીવાવાળો ને મતવાલા એટલે મસ્ત. ગજચાલ જેવો.બાપ, ૨૫૦૦ વર્ષ પહેલા બુધ્ધ મહાવીર કે ગોરખ-મછંદર ઘરે-ઘરે ભિક્ષા લેવા જતા હશે ત્યારે એ કેવા રૂડા-મતવાલા લાગતા હશે... મારા યુવાન ભાઇઓ-બહેનો, કે, મારા સુંદરકાંડ, મારા ફલાવર્સ, એક વાત યાદ રાખજો, બુધ્ધ પુરૂષ સ્વર્ગ નથી આપતા, પણ તમે જ્યાં હો ત્યાં સ્વર્ગ લાવે છે. જલંધર-વૃન્દા અને વિષ્ણુજીની કથા-એ બન્નેમાં કેવુ સામ્ય છે. જુઓ, શ્રાપથી અહલ્યા પથ્થર બની જાય છે. તો વૃન્દાના શ્રાપથી વિષ્ણુ પણ પથ્થર-શાલીગ્રામ બની જાય છે. વૃન્દાએ શ્રાપ આપ્યો તો વિષ્ણુ હૃદય વગરના થઇ જશો-પથ્થર થશો. અહલ્યા શીલા બની ગઇ, વિષ્ણુ શાલીગ્રામ બની ગયા. જો કે પછી તો વૃન્દાને પસ્તાવો થાય છે પણ બાપ, હજી સુધી ગાયના આંચળમાંથી નીકળેલુ દૂધ પાછુ આંચળમાં નથી જઇ શકતું, આખંમાંથી નીકળેલુ આંસુ પણ પાછુ આંખમાં નથી મોકલી શકાતું.
તેમ શ્રાપથી નિકળેલી વાણી પાછી નથી ફરી શકતી માટે હે, યુવાનો! બોલતી વખતે ખૂબ ધીરજ અને ધ્યાન રાખજો. એવું કશું બોલાઇ ન જાય એ માટે તમે સાવધાન રહેજો. ભગવાન શિવજી પાર્વતીજીને રામકથા-ભગવદ કથાનો મહિમા સમજાવે છે તે આપણે સૌએ પણ યાદ રાખવા જેવું છે. શિવજી કહે છે કે, પંખીને ઉઠાડવા માટે બંદુકની જરૂરી નથી, પથ્થર ઉગામવાની પણ જરૂર નથી, પથ્થર ઉગામવાની પણ જરૂરી નથી, માત્ર તાલી વગાડો એટલે પંખી ઉડી જશે એમ રામકથા કરતાલી છે.
એટલે કે આપણા મોહ, સંદેહ, ભય, મૂઢતા અજ્ઞાનતા, અંધકાર વગેરે આ બધું જ માત્ર અને માત્ર ભગવદ કથાથી જ નિર્મૂળ થાય છે.