મુખ્ય સમાચાર
News of Thursday, 20th February 2020

દિલ્હીમાં ઘરકંકાસનો કરુણ અંજામ :પત્નીનું મર્ડર કરી બાળકોને બેનના ઘરે મૂકી પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા મારામારી સુધીની નોબત આવી: પતિએ ગળું દબાવી પત્નીને મારી નાખી

 

નવી દિલ્હી : દિલ્હીમાં રહેતા એક વ્યક્તિ અને તેની પત્ની વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. સવારે બંને વચ્ચે કોઈક બાબતને લઈને ઝઘડો થયો અને પછી બંને વચ્ચે મારામારી સુધીની નોબત આવી ગઇ હતી. ગુસ્સામાં આવીને વ્યક્તિએ પત્નીનું ગળું દબાવી દીધુ હતું, જેના કારણે પત્નીનું મોત થઇ ગયું હતું. અચાનક થયેલા ઘટનાક્રમથી તે થોડીવાર માટે હતાશ થઇ ગયો અને પછી તે દીકરા અને દીકરીને લઇને બહેનના ઘરે ગયો અને બંને બાળકોને બહેનના ઘરે મુકીને તેણે ભજનપુર પોલીસ સ્ટેશન જઇ સરેન્ડર કરી દીધું હતું.

પોલીસ સ્ટેશનના રિપોર્ટીગ રૂમમાં જઇને તેણે કહ્યું હતું કે, તે તેની પત્નીની હત્યા કરીને આવ્યો છે ત્યારે એક ક્ષણ માટે તો પોલીસને વિશ્વાસ થયો. પરંતુ તપાસ કરવામાં આવી તો વાત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ડેડ બોડીને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

નોર્થ ઇસ્ટના DCP વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજેશ ગોયલ (ઉંમર વર્ષ 41) ભજનપુર વિસ્તારમાં રહે છે. લગભગ સવારે 11:30 કલાકે પોલીસ સ્ટેશને આવીને તેણે પત્ની લલિતા ગોયલની (ઉંમર વર્ષ 37) હત્યા કરી હોવાની જાણકારી આપી હતી. તેના આધારે નોર્થ ઘોંડાના ગંગોત્રી વિહાર સ્થિત ઘરમાં જઇને જોયુ તો રાજેશ ગોયલની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બોડીને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેમને એક 9 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો છે.

રાજેશ ગોયલ જોડા સપ્લાય કરવાનું કામ કરતો હતો પરંતુ આજકાલ તે કંઇ કામ નહોતો કરતો. તેથી બંને વચ્ચે સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. બુધવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને મારામારી સુધીની નોબત આવી ગઇ હતી. દરમિયાન તેણે પત્નીનું ગળુ દબાવી દીધુ હતું. હત્યા કર્યા બાદ તે ઘણા સમય સુધી પત્નીની બોડી પાસે બેસી રહ્યો અને ત્યારબાદ બાળકોને બહેનના ઘરે છોડીને પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. તેણે કબૂલ કરેલા ગુનાના આધારે પોલીસે મર્ડરનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે અને મૃતક મહિલાના પરિવારજનોને ફોન કરીને તેની જાણકારી આપી દેવામાં આવી છે.

(12:01 am IST)