મુખ્ય સમાચાર
News of Thursday, 21st January 2021

કોરોના રસીકરણ અભિયાન

બીજા તબક્કામાં PMથી લઇને CMને આવરી લેવાશે

એપ્રિલ સુધીમાં રસીકરણનો પ્રથમ તબક્કો પુરો થશેઃ જનપ્રતિનીધિઓની ભાગીદારીથી રસીકરણ વધારવા યોજના

નવી દિલ્હી, તા.૨૧: દેશમાં કોરોના રસીકરણની શરુઆત બાદ કહેવામાં આવી રહ્યુ છે કે નેતાઓ કેમ રસી નથી લઈ રહ્યા? જયારે કે આ જનતાના પ્રતિનિધિ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ૩ મહિના પહેલા કહ્યુ હતુ કે રસી આવ્યા બાદ સૌથી પહેલા તે આનો ડોઝ લેશે પરંતુ ૧૬ જાન્યુઆરીએ દિલ્હી એમ્સમાં તેમણે રસી લીધી નહોંતી.

એક મીડિયા ગ્રુપે પીએમથી લઈને સીએમ અને સાંસદોને કયારે રસી લાગશે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમાં જોવા મળ્યુ છે કે પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી અને સાંસદો બીજા ચરણમાં કોરોનાની રસીનો ડોઝ લઈ શકે છે. હાલ કોરોનાની રસીકરણનું પહેલુ ચરણ છે. જે એપ્રિલ સુધી સમાપ્ત થઈ જશે.

બીજા ચરણમાં દેશના તે ૭૫ ટકા સાંસદ, મુખ્યમંત્રી અને મંત્રીઓને રસી આપવામાં આવશે જેમની ઉંમર ૫૦ વર્ષ અથવા તેનાથી વધારે છે.  જેમાંથી જે જે પ્રતિનિધિઓમાં જીવનશૈલી સાથે જોડાયેલા રોગ અને હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયબિટીશ વગેરે અનિયંત્રિત સ્થિતમાં હોય તો તેમને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે. પીઆરએસ વિધાયી અનુસંધાન અનુસાર લોકસભામાં ૩૪૩ અને રાજય સભામાં ૨૦૦ સાંસદની ઉંમર ૫૦ અથવા તેનાથી વધારે છે. એજ રીતે મોદી સરકારના કેબિનેટમાં ૯૫ ટકા મંત્રી રસીકરણમાં સામેલ થઈ શકે છે.

રસીકરણના બીજા ચરણમાં લોકસભાથી લઈને વિધાનસભા વિસ્તાર સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. જે અંતર્ગત જે તે જન પ્રતિનિધિ તેમના મતવિસ્તાર જયાંથી ચૂંટાઈને આવ્યા છે ત્યાં જનતાની વચ્ચે પહોંચી રસીકરણમાં ભાગ લઈ શકે છે.

રસીકરણની યોજના સાથે જોડાયેલા સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી શેર કરતા જણાવ્યું કે અલગ અલગ ચરણમાં નીતિઓને અંતિમ રુપ આપી દેવાયું છે.  એક અન્ય વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દેશમાં અનેક જન પ્રતિનિધિઓની ઉંમર ૮૦ અથવા તેનાથી વધારે છે. જેમને બીજા ચરણમાં પ્રાથમિકતાના રીતે સૌથી પહેલા રસી આપી શકાય છે. જેમાં ૨ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને એચડી દેવગોડા અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપા પણ સામેલ છે.

રસીકરણને લઈને ગઠિત રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના વિશેષજ્ઞો એ પણ આ વાત સાથે સહમત છે કે ૨૭ કરોડ લોકોને જલ્દી રસી આપવા માટે રાજનેતાઓનો સહયોગ જરુરી છે. દિલ્હી  એમ્સના એક વરિષ્ઠ અધિકારી  અને ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યુ કે રસીકરણને લઈને તમામ લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ છે. આ ભ્રમને દુર કરવા માટે નેતાઓની મહત્વની ભૂમિકા હોઈ શકે છે. તેમને સંકેત આપ્યા છે કે એપ્રિલ મહિનામાં પીએમ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં આ અંગે જાણકારી આપી શકે છે.

ઉંમરના હિસાબે થઈ શકે છે સામેલ

૭૫ ટકા સાંસદ, ૯૫ ટકા ભારત સરકારના કેબિનેટ મંત્રી, ૮૨ ટકા રાજયમંત્રી, ૭૬ ટકા મુખ્યમંત્રી

૨ પૂર્વ પીએમ અને એક મુખ્યમંત્રી(મનમોહન સિંહ અને એચડી દેવગોડા અને કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપા)

(11:06 am IST)