શરાબ પીધા વગર પણ લીવર ખરાબ થઇ શકે!
આજે આંતરરાષ્ટ્રીય નોન આલ્કોહોલીક સ્ટીટો હેપીટાઇટીસ ડે : ૯૦ કિલોથી વધુ વજન ધરાવતા અને મોડી રાત્રે ખાઇને સુઇ જતા લોકોને તકલીફ પડી શકે
જોધપુર, તા., ૧૦: લોકોની ધારણા છે કે માત્ર દારૂ પીનારા લોકોને જ ફેટી લીવર ડીસીઝ થઇ શકે છે. આ ધારણા ખોટી છે. પરંતુ જે લોકોનું વજન ૯૦ કિલોથી વધુ હોય અને મોડી રાત્રે ખાવાની આદત હોય તો દારૂ ન પીવા છતા તેમનું લીવર બગડી શકે છે. આવા કિસ્સાને નોન આલ્કોહોલીક સ્ટીટો હેપીટાઇટીઝ કહે છે.
ડો.એસ.એન. મેડીકલ કોલેજના ગેસ્ટોએન્ટ્રોલોજી વિભાગ તરફથી ૬ર લોકો ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન મુજબ ડાયાબીટીઝ, મેદસ્વીતા (મોટાપો) અને વધુ પડતું કોલેસ્ટ્રોલ લોકોનું લીવર ખરાબ કરી શકે છે. લક્ષણોના આધાર ઉપર બીમારી પકડાઇ ત્યારે આવા લોકોને ખાવા પીવાની આદત બદલવા અને વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. ૩૦ ટકા લોકો પોતાનામાં બદલાવ લાવવાથી સારા થઇ જાય છે જયારે ૭૦ ટકાને દવાઓ દઇ બચાવવા પડે છે. મેડીકલ કોલેજના ગ્રેસ્ટોએન્ટ્રોલોજી વિભાગમાં ઓપીડીમાં ફેટીલીવરના ૭૦ ટકા દર્દીઓ શરાબની આદત ધરાવે છે. જયારે ૩૦ ટકા દારૂ ન પીવાવાળા દર્દીઓ છે. અન્ય કારણોથી તેઓએ સોનોગ્રાફી કરાવી હોય ત્યારે તેમને લીવરની બીમારીની જાણ થાય છે. આજે ૧૦ જુને આંતરરાષ્ટ્રીય નોન આલ્કોહોલીક સ્ટીટો હેપીટાઇસીઝ (એનએએસએચ) દિવસ છે. આ બિમારીમાં થાક લાગવો, પેટમાં દુઃખવુ, લોહીની ઉલ્ટી જેવા સામાન્ય લક્ષણ હોય છે. પ્રાથમીક તબક્કામાં આ બીમારી પકડાતી નથી. આ બીમારી ઘાતક છે. ડો.સુનીલ વાધીચ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, એસએન મેડીકલ કોલેજ-જોધપુરે જણાવ્યું હતું કે બીમારીનું નિદાન ઝડપથી થઇ જાય તો ખાન-પાન સુધારી વ્યાયામની ટેવ પાડી બીમારીથી બચી શકાય છે.