નિખિલ જૈન સાથે લગ્ન કાયદેસર નહતા, અમે છૂટા પડી ગયા
વર્ષ પહેલાં જ નૂસરતેે તૂર્કીમાં લગ્ન કર્યા હતા : તૂર્કીમાં અલગ ધર્મ હોઈ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિ. જરૂરી, લગ્ન કાયદેસર ન હોવાનો નૂસરતનો દાવો
નવી દિલ્હી, તા. ૯ : બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને ટીએમસીની ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પોતાના પતિ નિખિલ જૈન સાથેના સબંધો તોડવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા નૂસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તુર્કીમાં યોજાયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી. જોકે નૂસરત જહાંએ આજે પોતે જ એક નિવેદન આપ્યુ હતુ કે, તુર્કીના મેરેજ રજિસ્ટ્રેશન એકટ પ્રમાણએ આ લગ્ન ગેરકાયદે છે. અમારા અલગ અલગ ધર્મ હોવાથી સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ રજિસ્ટ્રેશન જરુરી હતુ. જે ક્યારેય કરવામાં આવ્યુ નહોતુ. કાયદા પ્રમાણે તો આ લગ્ન હતા જ નહી પણ કદાચ તેને લિવ ઈન રિલેશનશિપ કહી શકાય. આમ લગ્ન નહીં થયા હોવાથી છૂટાછેડા લેવાનો સવાલ ઉભો થતો નથી. અમે બહુ પહેલા અલગ થઈ ગયા હતા.આ બાબતે મેં અત્યાર સુધી જાહેરમાં વાત કરી નહોતી. હું મારી પ્રાઈવેટ લાઈફને મારા પૂરતી જ સિમિત રાખવા માંગતી હતી.
નૂસરત જહા તેના પતિથી છેલ્લા ૬ મહિનાથી અલગ થઈને રહેતી હતી. તેના પતિ નિખિલ જૈને કહ્યુ હતુ કે, જે દિવસે મને ખબર પડી કે નૂસરત મારી સાથે નહીં પણ બીજા કોઈ સાથે રહેવા માંગે છે તે જ વખતે મેં કેસ કર્યો હતો. હું ભવિષ્યમાં નૂસરત સાથે કોઈ સબંધ રાખવા માંગતો નથી.
બીજી તરફ નૂસરત જહાંએ કહ્યુ છે કે, હું મારી બહેન અને પરિવારનો ખર્ચો જાતે ઉઠાવી રહી છું પણ કેટલાક લોકો તેની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કોઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રકી રહી નથી. આ બાબતે હું બેક્ન સાથે વાત કરવાની છું અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની છું.