ચીની સૈનિકોના મોતના આંક પર સવાલ કરનારા ૩ જબ્બે
ચીને ૮ માસ બાદ ગલવાન દુર્ઘટના મુદ્દે ખુલાસો કર્યો : પત્રકારોએ આંક પર સવાલ ઉઠાવીને સેનાનાં જવાનોની શહીદીનું અપમાન કર્યું હોવાનો ચીન સરકારનો આરોપ
બીજિંગ, તા. ૨૨ : ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ચીને માત્ર ૪ જવાનો જ મર્યા હોવાની વાત કહી છે, ચીને આ ખુલાસો પણ ૮ મહિના બાદ કર્યો છે, પરંતું તમામ મિડિયા રિપોર્ટસમાં આ આંકડાને ખોટો બતાવવામાં આવ્યો છે, હવે આ આંકડા પર સવાલ ઉઠાવનારા ૩ પત્રકારોની ચીને ધરપકડ કરી છે. ચીનની ઓથોરીટીનું કહેવું છે કે પુછપરછ માટે આ પત્રકારોની અટકાયત કરવામાં આવી છે.આ પત્રકારોમાં ઇકોનોમિક ઓબ્ઝર્વરમાં કામ કરી ચુકેલા ૩૮ વર્ષીય કિઉ જિમિંગનો પણ સમાવેશ થાય છે, તેમના પર આરોપ છે કે તેમણે આકડા પર સવાલ ઉઠાવીને સેનાનાં જવાનોની શહીદીનું અપમાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ઘણા મિડિયા રિપોર્ટમાં ચીનનાં ૪૦-૫૦ જવાનો માર્યા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું, જો કે ચીને ૮ મહિના બાદ માત્ર ૪ જ સૈનિકો માર્યા હોવાનું સ્વિકાર્યું છે, જેના ઉપર કિઉએ ચીનનાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ વીબો પર ટીપ્પણી કરી હતી કે આકડો આનાથી કાંઇક વધુ હોવાનું કહેવામાં આવ્યું હતું.