બહુમત સાબિત કરવા પર અટકળો !
પોંડીચેરીમાં ફલોર ટેસ્ટ આજે : વધુ બે વિધાયકોનું રાજીનામુ
પુડુચેરી તા. ૨૨ : પુડુચેરીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. આવતીકાલે વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ નારાયણસામી સમક્ષ સરકાર બચાવવાની અગ્નીપરીક્ષા અગાઉ મુશ્કેલી ઉભી થઈ છે. રવિવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યએ રાજીનામું આપતા પુડુચેરીમાં કોંગ્રેસ સરકાર માટે ફલોર ટેસ્ટમાં બહુમત પુરવાર કરવો લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
પુડુચેરીના કોંગ્રેસના એમએલએ લક્ષ્મીનારાયણ અને વૈંકટેશને પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકર વી પી શિવાકોઝુંડુને આપ્યું છે. આ રાજીનામાં બાદ કોંગ્રેસ સામે ૨૨ ફેબ્રુઆરીના વિશ્વાસનો મત પુરવાર કરવાનો પડકાર ઉભો થયો છે. રાજયમાં એપ્રલિ-મેમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની નારાયણસામી સરકારની આગેવાની હેઠળની સરકારને ફલોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
લેફટનન્ટ ગર્વનર કિરણ બેદીને હટાવ્યા બાદ નવા ઉપ રાજયપાલ તરીકે ટી સૌંદર્યરાજને ૨૨મીએ ફલોર ટેસ્ટ યોજવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા સરકાર પાસે પુરતું સંખ્યાબળ નહીં હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
બીજીતરફ સીએમ વિજય રૂપાણીએ બહુમત પુરવાર કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. ૩૦ ધારાસભ્યો ધરાવતી પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો હતા અને ડીએમકેના ત્રણ તેમજ એક અપક્ષ ઉમેદવારનો ટેકો તેમને મળેલો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આંકડાકિય ગણિતર બદલાયું છે.વધુ બે કોંગી ધારાસભ્યોના રાજીનામાંને પગલે હવે સરકારનું સંખ્યાબળ ઘટીને ૧૧ થઈ ગયું છે.