ભારત થયું આત્મનિર્ભરઃ કોરોનાની ૭પ ટકા ટેસ્ટીંગ કીટ ઘરેલુ કંપનીઓની
નવી દિલ્હી, તા., ૨૨: કોરોના વાયરસનું ચેક અપ કરવા માટે ઘરેલુ ઉત્પાદકોની કીટનો જ ઉપયોગ કરી રહયું છે. મંગળવારે બીજા દિવસે ટેસ્ટ કરવામાં આવેલા નમુનાઓની સંખ્યા ૧ લાખને પાર પહોંચી ગઇ છે. આ સાથે જ ડેઇલી ટેસ્ટીંગની સંખ્યા વધારવા કોશીષ થઇ રહી છે. જુનના અંત સુધીમાં ટેસ્ટીંગની સંખ્યા બે ગણી થઇ જશે. જુન-જુલાઇમાં કોરોનાના મામલા વધવાની સંભાવના વચ્ચે ટેસ્ટીંગમાં આત્મનિર્ભર થવુ સરકારની રણનીતીનો એક ભાગ છે.
પર્યાવરણ સચીવ અને હોસ્પીટલો ઉપર અધિકાર પ્રાપ્ત સમુહના અધ્યક્ષ સી.કે.મિશ્રાએ કહયું કે એપ્રીલના પહેલા પખવાડીયામાં ટેસ્ટીંગ કીટની આપુરતીમાં તકલીફ થઇ રહી હતી પરંતુ હવે આયાત ઉપર નિર્ભરતાને ઓછી કરવા માટે સતત પગલાઓ લીધા છે. અમે એ સુનિશ્ચિત કર્યુ છે કે દરેક સંગઠનોને આર.એન.એ. એકસટ્રેકશન કીટસ અને વીટીએમ (વાયરલ ટ્રાન્સપોર્ટ માધ્યમ) કીટનું ઉત્પાદન કરી શકીએ છીએ. હું કહીશ કે ટેસ્ટીંગમાં ૭પ ટકાથી વધુ ઘરે ઉત્પાદીત થતી કીટનો ઉપયોગ થઇ રહયો છે.