દિલ્હીમાં 'એઇમ્સ'ના ડોકટરોને મકાન માલિકોએ કોરોનાના ડરે ઘર ખાલી કરાવ્યા : પીએમ પાસે મદદ માંગી
કોરોના સામે દેવદૂત બનીને લડતા તબીબોનું ઘોર અપમાન
નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસ સામે સરકાર અને લોકો પણ લડત ચલાવી રહ્યાં છે ત્યારે કોરોના સામે લડાઈ લડતા દેવદૂત સમાન તીબીબોનું કેટલાક મકાનમાલિકોએ ઘોર અપમાન કર્યુ છે. દિલ્હીમાં એઇમ્સમાં ફરજ બજાવતા તબીબો અને નર્સોએ ફરિયાદ કરી છે કે તેમના મકાન માલિકોએ તેમને ઘર ખાલી કરવાની સૂચના આપી રઝળતા કરી દીધા છે. આ જધન્ય કૃત્યુથી હતાહત થયેલા માનવતાના સપૂતોઓએ વડાપ્રધાન મોદી પાસે મદદનો હાથ ફેલાવ્યો છે.
AIIMS રેસિડેન્ટ્સ ડોકટર એસોસિએશનએ સરકાર પાસે મદદ માંગી. તીબીબોએ સ્વાસ્થ્ય મંત્રાલય અને વડાપ્રધાન ઓફિસને પત્ર લખીને મધ્યસ્થ કરવા અને વિશેષાધિકારનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યુ છે.
મેડિકલ પ્રોફેશનલ્સ તરીકે તેઓ દર્દીઓના સંપર્કમાં હોવાથી મકાન માલિકો તેમને હેરાન કરી રહ્યા છે.
ગત સપ્તાહે રાષ્ટ્રીય એરલાઇન્સ એર ઇન્ડિયા અને ખાનગી વિમાન સેવા ઇન્ડીગોના કર્મચારીઓએ પણ આ મામલે ફરિયાદ કરી હતી કે તેમને કોવિડ-૧૯ ના વાહકો તરીકે ચીતરી અને સામાજિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે.