ઈમરાન સરકારની ભેજાગેપ એડવાઈઝરીઃ તમામ ન્યુઝ ચેનલોને ૧૫ ઓગસ્ટે લોગો બ્લેક એન્ડ વ્હાઈટ રાખવા આદેશ
નવી દિલ્હીઃ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર થતા પાકિસ્તાન રઘાવયુ બની ગયુ છે. પાકિસ્તાન ઈલેકટ્રોનીક મીડીયા રેગુલેટરી ઓથોરીટી (પેમરા)એ જમ્મુ- કાશ્મીરની સ્થિતિ અંગે મીડીયા સંસ્થાઓને માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એડવાઈઝરીમાં જણાવ્યા અનુસાર ચેનલ્સે ઈદ ઉલ અજહા ઉપર કોઈ પણ પ્રકારની સ્પેશ્યલ પ્રોગ્રામીંગ (પ્રિ- રેકોર્ડેડ અથવા લાઈવ) પ્રસારીત ન કરે. કેમકે તેનાથી પાકિસ્તાનની સાથે-સાથે કાશ્મીરના લોકોની પણ ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
બધી ટીવી ચેનલો, એફએમ રેડીયો સ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન ઓપરેટર્સને એવા પ્રોગ્રામ બતાવવા જણાવ્યું છે કે જેથી કાશ્મીરીઓ સાથે ભાઈચારાની ભાવના દેખાઈ. ઉપરાંત ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસને કાશ્મીરીઓ સાથે ભાઈચારા દિવસના રૂપે મનાવાશે.
ભારતના સ્વતંત્ર દિવસ ૧૫ ઓગસ્ટના દિવસે કાળો દિવસ મનાવવા અને પાકિસ્તાની રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવા પણ જણાવાયું છે. પેમરાએ ટીવી ચેનલ્સને ૧૫ ઓગષ્ટના દિવસે આખો દિવસ પોતાનો લોગો બ્લેક એન્ડ વ્હાઈટ રાખવા પણ કહયું છે. અગાઉ ૮ ઓગષ્ટે ન્યુઝ ચેનલોને નિર્દેશ અપાયેલ કે તેઓ ટોક શોમાં કોઈપણ પ્રકારની ટિપ્પણીઓ કે વિશ્લેષણ માટે કોઈ ભારતીય સેલીબ્રીટી, રાજનેતા કે પત્રકારને આમંત્રીત ન કરે.