રાજસ્થાનના ભીલવાડામાં ડો,શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ તોડી પડાઈ : પથ્થરના ઘા ઝીકીને માથું અલગ કરી દેવાયું : ભાજપમાં ભારે આક્રોશ
અજાણ્યા શખ્સોનું કૃત્ય ;સખ્ત કાર્યવાહી કરવા ભાજપની માંગણી : આર્ટિકલ 370 સાથે કનેક્શન હોવાની ભાજપને શંકા
જયપુર : રાજસ્થાનમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિને તોડવા મામલે ભાજપમાં ભારે રોષ ફેલાયો છે અહેવાલ મુજબ રાજસ્થાનન ભીલવાડા જિલ્લાના શાહપુરા વિસ્તારમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ તોડી નાંખી છે.ઘટનાની જાણકારી મળતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આ ઘટનાની તપાસને લઇને ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું.
હેવાલ મુજબ રાજસ્થાનના ભીલવાડામાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવતાં પ્રદેશ ભાજપમાં રોષ સામે આવ્યો છે. ડો. શ્યામાપ્રસાદની પ્રતિમાને ખંડિત કરાતા આ ઘટનાને આર્ટિકલ 370 સાથે કનેક્શન હોવાનું ભાજપને પૂરે પૂરી શંકા છે.
ભાજપે પ્રતિમા ખંડિત કરનારાઓ સામે સખત કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ પ્રતિમાને પથ્થરથી ઘા કરીને પ્રતિમાનું માથુ અલગ કરી દેવામાં આવ્યુ છે. મહત્વનું છે કે આર્ટિકલ 370નો સૌથી પહેલો વિરોધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો. જેથી આ ઘટનાને તેની સાથે સાંકળવામાં આવી રહી છે. આ મૂર્તિનું ઉદ્ઘાટન વર્ષ 1995માં તાત્કાલિક ગૃહ મંત્રી કૈલાશ મેઘવાલ અને ઉર્જા મંત્રી રઘુવીર કૌશલે કર્યુ હતુ. જો કે, પ્રતિમાને ખંડિત કરાતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.