હવે એસીને ર૪ ડીગ્રી પર ફીકસ નહીં કરાય
એસીનું ઉષ્ણતામાન ફીકસ કરીને ઉર્જા બચતની યોજના હતી
નવી દિલ્હી તા. ૧પ :.. ઉર્જા વપરાશમાં ઘટાડો કરવા માટે એર કંડીશનના ઉષ્ણતામાનને ર૪ સેન્ટીગ્રેડ રાખવાની યોજનાને કેન્દ્ર સરકારે કેન્સલ કરી છે.
ઉર્જા ક્ષેત્રે કામ કરતી એજન્સીઓ અને નિષ્ણાતોઓ સરકારને આ સલાહ આપી હતી. શરૂઆતમાં તો આ બાબતે સંમતિ સધાઇ હતી પણ પછી ઘણા તબકકાના વિચાર વિમર્શ પછી તેને ટાળવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે ઉદ્યોગ જગત આના માટે તૈયાર નહોતું. વન અને પર્યાવરણ મંત્રાલયે હમણા જ નેશનલ કુલીંગ પ્લાન બહાર પાડયો હતો. જેનો ઉદેશ એવો છે કે કુલીંગમાં ખર્ચ થતી ઉર્જાની ખપત કેમ ઘટાડવી.
બ્યુરોએ એક ઉપાય એવો સૂચવ્યો હતો કે એસીનું ન્યુનતમ ઉષ્ણાતામાન ર૪ ડીગ્રી નકકી કરી દેવામાં આવે. જેથી એવા એસી જ બને કે જેમાં ઉષ્ણતામાન ર૪ ડીગ્રીથી નીચે ન થઇ શકે. આના કારણે ઉર્જાની ખપતમાં બહુ જ બચત થાત. કેમ કે દેશમાં એસીનો ઉપયોગ બહુ ઝડપથી વધી રહ્યો છે. પછી તે ધંધાકીય હોય કે પછી અંગત.
કેન્દ્રીય વન અને પર્યાવરણ સચિવ સી. કે. મીશ્રાએ સ્વીકાર્યુ કે આ યોજના કેન્સલ કરવામાં આવી છે. તેમણે કહયું કે એસીનો ઉપયોગ કરનારા ફકત પ ટકા લોકો છે એટલે તેનાથી કોઇ ખાસ ઉર્જા બચતની શકયતા નહોતી. તેને અમલી બનાવવામાં ઉદ્યોગ જગત તરફથી પણ ઘણી મુશ્કેલીઓ જણાવવામાં આવી હતી. આના કારણે હાલમાં તેને કૂલીંગ એકશન પ્લાનમાં નથી લેવામાં આવી.