મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

અમિત શાહના રોડ શોમાં હિંસા

ભાજપે ચૂંટણીપંચ પાસે કરી માગણીઃ મમતા બેનર્જીને પ્રચાર કરતા રોકો

નવી દિલ્હી, તા.૧૫: પશ્યિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા ભડકી ઉઠી. રોડ શોમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ. ત્યારબાદ મારપીટ અને પથ્થરમારો તથા આગચંપીના બનાવો પણ બન્યાં. આ મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. ભાજપે ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોને કથિત રીતે ભડકાવવા બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રચાર કરતા રોકવામાં આવે. ભાજપે આરોપ લગાવ્યો કે પશ્યિમ બંગાળમાં 'બંધારણી તંત્ર' ધ્વસ્ત થઈ ગયું છે.  આ બાજુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મોડી સાંજે વિદ્યાસાગર કોલેજ પહોંચીને તેમણે ઘટનાની જાણકારી મેળવી. તેની પાસે જ અમિત શાહના રોડ શોમાં ઘર્ષણ થયું હતું.

આ બાજુ દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓ પાસે ભાજપના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ મોડી સાંજે ગયું હતું. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન અને મુખ્તાર અબ્બાસ નકવી સહિત પાર્ટીના નેતાઓના આ પ્રતિનિધિ મંડળે રાજયમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્યિત કરવા માટે તત્કાળ હસ્તક્ષેપની માગણી કરી. બાદમાં મુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને જણાવ્યું કે અમે પંચ પાસે માગણી કરી છે કે અરાજક તત્વો અને હિસ્ટ્રી શીટરોની તત્કાળ ધરપકડ થાય. તેમણે ઈસી પાસે માંગણી કરી છે કે કેન્દ્રીય દળો ચૂંટણી વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરે અને મુખ્યમંત્રીને પોતાના સમર્થકોને 'ભડકાવવા' બદલ પ્રચારથી પ્રતિંબંધિત કરવામાં આવે. કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પણ માગણી કરી છે કે આયોગ મમતા બેનર્જીના પ્રચાર પર પ્રતિબંધ મૂકે.

ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. નકવીએ પત્રકારોને કહ્યું કે, ''તેઓ એક બંધારણીય પદ ઉપર છે પરંતુ ગેરબંધારણીય ટિપ્પણીઓ કરી રહ્યાં છે. પોતાની પાર્ટીના કાર્યકરોને બદલો લેવાની અને હિંસામાં સામેલ થવા માટે કહી રહ્યાં છે. તેઓ સહભાગી છે. તેમને પ્રચાર કરતા તત્કાળ રોકવામાં આવે.'' તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસના 'ગુંડાઓ'એ રાજય પ્રશાસનને બંધક બનાવી લીધુ છે અને શાહના રોડ શો દરમિયાન હિંસા થવી એ તેનું એક ઉદાહરણ છે.

કોલેજમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે કહ્યું કે  ભાજપ હતાશ થઈ ગયો છે. તે અમારી મહાન વિભૂતિઓનું પણ સન્માન કરતો નથી. તેઓ વિદ્યાસાગરની પ્રતિમા કેવી રીતે તોડી શકે? અમે તે વિરુદ્ઘ એક વિરોધ રેલી કરીશું. ભાજપ પર હુમલા કરતા સીએમએ આરોપ લગાવ્યો કે તેઓ (ભાજપ) બંગાળની બહારથી ગુંડાઓ લાવી રહ્યાં છે. આ અગાઉ તેમણે સાંજે એક રેલીમાં કહ્યું હતું કે ભાજપ વિરુદ્ઘનો દરેક મત વિદ્યાસાગરની પ્રતિમા પરના હુમલાનો બદલો હશે.

(10:16 am IST)