પાક.માં આતંકીઓ ખુલ્લેઆમ ફરે છે
પાકિસ્તાન ભોઠુ પડયું : ખુદ બેનઝીર ભુટ્ટોના પુત્ર બીલાવલે જ ઇમરાન ખાન સરકારની પોલ ખોલી
ઇસ્લામાબાદ તા. ૧૪ : પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પી.પી.પી.)નાં અધ્યક્ષ અને પાકિસ્તાન નેશનલ એસેંબ્લીના સદસ્ય બિલાવલ ભૂટ્ટો જરદારીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન ખુલેઆમ કામ કરે જ છે. બિલાવલ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત બેનજીર ભૂટ્ટેનાં અને આસિફ અલી જરદારીના પુત્ર છે.તેમણે પાકિસ્તાનની સરકાર પર હુમલો કરતા કહ્યું કે બીજા દેશો પર હુમલો કરનારા આતંકવાદી ખુલ્લે આમ કેમ ફરી રહ્યાં છે? તેમણે સિંઘ વિધાનસભામાં આ વાત બુધવારે પત્રકારો સાથે કરી હતી.
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં કામ કરનારા આતંકવાદી સંગઠનોની વિરૂદ્ઘમાં કાર્યવાહી કરવામાં નથી આવતી જેનાં કારણે તેમના માતાપિતાને સજા ભોગવવાનું થાય છે. આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં બાળકોને મારવા અને વિદેશી ભૂમિ પર હુમલો કરવાનું માર્ગદર્શન આપે છે. તેની સજા આજે પૂર્ણ પાકિસ્તાન ભોગવી રહ્યું છે. ઉલ્લેખનય છે કે ભૂટ્ટીનાં પિતા આસિફ અલી જદારી પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા.
અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે વિદેશોમાં હુમલા કરવા માટે પાકિસ્તાનની ભૂમિ પર કોઈ પણ આતંકી સંગઠન કામ કરતું નથી. તેના પછી તેમના સરકારે ઇસ્લામિક આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહીની જાહેરાત પણ કરી હતી. પણ આ નિવેદનો પછી લાગતુ નથી કે નાપાક પાકે કોઈ કાર્યવાહી કરી હોય. બિલાવલ ભુટ્ટોએ પણ દાવો કર્યો કે પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીફ-એ-ઇન્સાફમાં એવા ત્રણ મંત્રી છે જેનો સંપર્ક પ્રતિબંધિત સંગઠનો સાથે છે.