ખાતા ફ્રીઝ હોવા છતાં પણ
નીરવ - મેહુલે ૫ માસમાં ૫૦ કરોડ ઉડાડયા
નવી દિલ્હી તા. ૧૪ : પંજાબ નેશનલ બેંકને કરોડોનો ચુનો લગાવીને ભાગેલા નીરવ મોદી અને મેહુલ ચોકસી અંગે એક મહત્વની વાત બહાર આવી છે. દેશ છોડીને ભાગવા અને ખાતા સીલ થયા પછી પણ નીરવ અને તેના પરિવારે કરોડો રૂપિયા વાપર્યા છે. જાન્યુઆરી ૨૦૧૮માં આવેલ ૧૩૬૦૦ કરોડના કૌભાંડ પછી નીરવ મોદી ભારત છોડીને બ્રિટનમાં રહે છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર Saumil Diam LLC નામની એક કંપનીનો નીરવ મોદી અને તેના સગા મેહુલ ચોકસી બંને સાથે સંબંધ છે. આ કંપનીએ કોર્પોરેટ ક્રેડીટ કાર્ડ દ્વારા આ બંનેને પૈસા ઉપાડવામાં મદદ કરી હતી. સૂત્રોનું માનીએ તો નીરવ અને તેના પરિવારે માર્ચ ૨૦૧૮થી ઓકટોબર ૨૦૧૮ દરમિયાન આ કાર્ડ દ્વારા લગભગ ૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગોટાળો બહાર આવ્યા પહેલા નીરવ મોદી અને મેહુલ ચોકસીએ જાન્યુઆરી ૨૦૧૮માં દેશ છોડી દીધો હતો. નીરવ મોદી હાલમાં બ્રિટનમાં છે અને એવું કહેવાય છે કે, તે નવેસરથી હીરાનો ધંધો શરૂ કરવાનો છે. જ્યારે મેહુલ ચોકસી એન્ટીગુઆ અને બર્મુડાનો નાગરિક બની ગયો છે.