દુબઇમાં ઇસ્લામિક સેન્ટરે બિન-મુસ્લિમ લોકોને ઇફતાર પાર્ટીમા આમંત્રિત કર્યાઃ
દિલ્હી તા.૪: જુદા-જુદા ધર્મના લોકો વચ્ચે પ્રેમભાવ વધે અને સંબંધો તથા એકબીજાના ધર્મમાં વિશ્વાસ વધે તે હેતુસર અને ઝાયેદ અભિયાનના ભાગરૂપે દુબઇમાં ઇસ્લામિક માહિતી કેન્દ્ર ખાતે આયોજિત ભવ્ય ઇફતાર પાર્ટીમાં જુદા-જુદા ધર્મના લોકો એટલે કે બિન મૂસ્લિમોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનું શીર્ષક 'આવો અમારી સાથે રોઝાના ઇફતારમાં જોડાવો' આપવામાં આવ્યું હતું. અહીં લોકોને કહેવામાં આવ્યું હતું કે તમામ બિન મુસ્લિમો અમારી સાથે આ ભવ્ય ઇફતારમાં જોડાય અને તેઓ અમારા પવિત્ર રમઝાન વિશે માહિતી મેળવે અને મુસ્લિમોની જેમ સાંજે ઇફતાર કરે. ઇસ્લામિક ઇન્ફર્મેશન સેન્ટરના ડિરેકટર રાશિદ અલ જુનૈબીએ આ કાર્યક્રમના ઉદેશ્ય વિશે માહિતી આપતાં કહયું કે અમારી સરકાર હંમેશા ફકત એક જ કેન્દ્રીય મુદા પર ધ્યાન આપે છેકે યુએઇમાં વસતાં તમામ સમુદાયના લોકો વચ્ચે પ્રેમભાવ વધે અને તમામ ધર્મના લોકો એક સાથે મળીને રમઝાનની ઉજવણી કરે અને અમારી સાથે જોડાય. અમારા રમઝાન મહિનાની પવિત્રતાનો અનુભવ કરે.
આ કાર્યક્રમનું આયોજન દાર અલ બેર ઓડિટોરિયમ ખાતે કરવામા઼ આવ્યું હતું. જોકે અહીં લકઝુરિયસ અમીરાતી બુફેટ સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું. અને જમવાનું આયોજન કરાયું હતું. અલ જુનૈબીએ કહયુંકે દુનિયાના અનેક ભાગોમાં ઘણાં એવા બિન મુસ્લિમ લોકો છે જે રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને એવા જ લોકોને અમે આ કાર્યક્રમ દ્વારા લાભ પહોંચાડવા માંગીએ છીએ.