નોટબંધી બાદ ૭૩૦૦૦ ડી-રજીસ્ટર્ડ કંપનીઓએ બેંક ખાતાઓમાં ૨૪૦૦૦ કરોડ જમા કરાવ્યા હોવાનું ખુલ્યુ
કાળા નાણાની ગેરકાનૂની સંપત્તિઓ ઉપર રોક લગાવવા અંગે સરકારે ૨.૨૬ લાખ કંપનીઓને બંધ કરી
નવી દિલ્હી, તા. ૪ :. નોટબંધી લાગુ થયા બાદ ઓછામાં ઓછી ૭૩૦૦૦ ડી-રજીસ્ટર્ડ કંપનીઓએ પોતાના બેંક ખાતાઓમાં ૨૪૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. સરકારે બહાર પાડેલા આંકડામાં આ મુજબ જણાવ્યુ છે. કાળુનાણુ અને ગેરકાનૂની સંપત્તિઓ ઉપર રોક લગાવવાના હેતુથી કંપની બાબતોના મંત્રાલયે લગભગ ૨.૨૬ લાખ કંપનીઓને બંધ કરી દીધી છે. આ કંપનીઓ લાંબા સમયથી કામકાજ કરતી નહોતી. આમાથી મોટા ભાગની કંપનીઓ પર કાળા નાણાની હેરાફેરીની શંકા છે.
મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ૨.૨૬ લાખ ડી-રજીસ્ટર્ડ કંપનીઓમાંથી ૧.૬૮ લાખ કંપનીઓની બેંક વિગતો જણાવવામાં આવી છે કે નોટબંધી બાદ આ કંપનીઓના બેંક ખાતાઓમાં પૈસા જમા કરવામાં આવ્યા હતા. આમાથી ૭૩૦૦૦ કંપનીઓએ ૨૪૦૦૦ કરોડ જમા કરાવ્યા હતા.
મંત્રાલય જણાવે છે કે ૬૮ કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે. ગંભીર છેતરપીંડી કાર્યાલય ૧૯ કંપનીઓ તો રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ ૪૯ કંપનીઓ સામે તપાસ કરી રહી છે.(૨-૭)